જ્યારે યુવતીએ કહી દીધુ કે ભયભીત કરે તે નહિ પરંતુ ભય મુક્ત કરે એ સાચો પ્રેમ

0
1228

જ્યારે યુવતીએ કહી દીધુ કે ભયભીત કરે તે નહિ પરંતુ ભય મુક્ત કરે એ સાચો પ્રેમ

કોલમઃ- પ્રેમની વસંત બારેમાસ

લેખકઃ નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પુર્ણ થયા પછી અનેક વિદ્યાર્થીઓ પરીણામની રાહ જોઇ રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ પરીણામ ખરાબ આવવાની સતત ચિંતા કરી રહ્યા છે ત્યારે શ્વેતા નામની વિદ્યાર્થીની ધોરણ 12ના બોર્ડની પરીક્ષાના પરીણામની ચિંતા કર્યા વગર ઉનાળુ વેકેશનની મજા માણી રહી છે. શ્વેતા તેના મિત્રોને પણ સમજાવતા કહે છે કે પરીક્ષામાં આપણે જેવુ લખ્યુ હશે તેવુ જ પરીણામ આવશે અને આપણે અત્યારે ગમે તેટલી ચિંતા કરીએ તો પણ આપણે લખેલા પેપરનો એક પણ શબ્દ આપણે બદલી શકવાના નથી, તો ખોટી પરીણામની ચિંતા કરીને વેકેશનની મજા બગાડવી ન જોઇએ. શ્વેતાની વાત સાંભળીને તેના મિત્રો કહે છે કે તારા પેપર સારા ગયા છે એટલે તને બોર્ડના પરીણામની ચિંતા ન હોય પરંતુ અમને તો પાસ થવામાં પણ શંકા છે. શંકા કુશંકાનો હવે કોઇ અર્થ રહેતો નથી વાંચવાનો સમય હવે નિકળી ગયો છે અને હવે તમે પરીણામની વ્યર્થ ચિંતા કર્યા કરો છો તેમ શ્વેતાએ જણાવ્યુ. પરંતુ હવે અમે શુ કરી કરીએ તેવો મિત્રોએ પ્રશ્ન કર્યો ત્યારે શ્વેતાએ જણાવ્યુ કે, પરીણામ જે આવે તે સ્વીકારવું પડશે અને ભવિષ્યમાં અભ્યાસ પર પુરતુ ધ્યાન આપવું પડશે. શ્વેતાના સમજાવવાના કારણે બધા મિત્રો પરીણામની ચિંતા કર્યા વગર વેકેશનની મજા માણવાની શરૂ કરે છે. થોડા દિવસો પછી ધોરણ 12નું બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર થાય છે અને હંમેશાની જેમ શ્વેતા ધોરણ 12ની પરીક્ષામાં સમગ્ર શાળામાં અવ્વલ આવે છે અને શ્વેતાના પરીવારમાં આનંદ હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. પરીવારના સભ્યો દ્વારા મીઠાઇ વહેચવામાં આવી રહી છે. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે શ્વેતાના તમામ મિત્રો પણ બોર્ડની પરીક્ષામાં પાસ થઇ જાય છે એટલે શ્વેતાની ખુશી બેવડાઇ જાય છે. બોર્ડની પરીક્ષામાં ઉત્તમ પરીણામ મેળવીને શ્વેતા આગળના ઉચ્ચ અભ્યાસ માટે શહેરમાં આવેલી જાણીતી કોલેજમાં પ્રવેશ મેળવે છે પરંતુ શ્વેતાના શાળાના મિત્રોને આ કોલેજમાં પ્રવેશ મળતો નથી અને તેઓને અન્ય કોલેજમાં પ્રવેશ મેળવવો પડે છે.

ભલેને અલગ અલગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોય પરંતુ શ્વેતા તેના શાળાના મિત્રો સાથે પહેલા જેવો જ ગાઢ સંબધ રાખે છે. થોડા દિવસોમાં શ્વેતા ગામડાના માહોલમાંથી બહાર આવીને શહેરમાં રહેતા પોતાના નજીકના સંબધીના ઘરે રહેવા માટે આવી જાય છે અને શહેરમાં રહીને જ કોલેજનો અભ્યાસ કરી રહી છે. શ્વેતા કોલેજમાં નિમયમીત અભ્યાસ કરી રહી છે અને કેમ્પસમાં ભાગ્યો જોવા મળે. શ્વેતા ક્લાસરૂમ થી ઘરે અને ઘરે થી સીધી ક્લાસરૂમમાં પહોંચી જાય છે. શ્વેતા નિત્યક્રમ પ્રમાણે કોલેજમાં આવીને અભ્યાસ કરે છે અને નવરાશના સમયે ઘરકામમાં મદદરૂપ બની રહી છે. એકદમ સરળ અને શાંત સ્વભાવની શ્વેતા કોઇના પ્રેમમાં આસાનીથી પડી જાય તેમ નથી. પરંતુ શ્વેતાની જ કોલેજના બે યુવકોને શ્વેતા ખુબ જ ગમી જાય છે અને તે બન્ને યુવકો શ્વેતાનો પ્રેમ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તો બીજી બાજુ આ વાત થી શ્વેતા સાવ અજાણ છે કે તેને પોતાની કોલેજના બે યુવકો પ્રેમ કરે છે. શ્વેતા તો તેની મસ્તામાં મસ્ત બનીને કોલેજમાં અભ્યાસ કરી રહી છે અને પ્રથમ વર્ષની પરીક્ષાના અંતે શ્વેતા કોલેજમાં અવ્વલ આવે છે. જ્યારે શ્વેતાને પસંદ કરતા બન્ને યુવકો સામાન્ય પરીણામ સાથે કોલેજનું પ્રથમ વર્ષ પાસ કરે છે. શ્વેતાને પ્રેમ કરતા યુવકો અનિલ અને મનોજના સ્વાભાવમાં આસમાન જમીનનો ફેર છે, બન્ને એકબીજાથી સાવ વિપરીત સ્વભાવ ધરાવે છે. અનિલ સ્વભાવમાં ઉગ્ર અને ઇર્ષાળુ છે જ્યારે મનોજ સ્વભાવમાં શાંત અને મદદગાર પ્રકૃતિનો છે. કોલેજના બીજા વર્ષના પ્રારંભમાં અનિલ મનોજને કોલેજની કેન્ટીનમાં મળવા માટે બોલાવે છે અને કહે છે કે હું શ્વેતાને ખુબ જ પ્રેમ કરૂ છુ એટલે હવે તુ મારા રસ્તામાં ન આવતો નહિતર ક્યાંય ગોત્યોય હાથ નહી આવે. હું તારી ધમકીથી ડરી જાવ તેવો નથી, તારા જેવા કેટલાય લોકો આવીને જતા રહ્યા છે. રહી વાત શ્વેતાને ભુલવાની તો તું એ વાત ભુલી જજે કે હું શ્વેતાને ભુલી જઇશ, શ્વેતા મારો શ્વાસ છે, મારો વિશ્વાસ છે અને મારો પ્રાણ છે તેમ ધીમ પરંતુ મક્કમ અવાજમાં મનોજે જણાવ્યુ. અનિલ અને મનોજ વચ્ચે જ્યારે કોલેજની કેન્ટીનમાં ઉગ્ર બોલાચાલી ચાલતી હોય છે ત્યારે શ્વેતા તેની બહેનપણીઓ સાથે કેન્ટીનમાં આવે છે અને તેને પામવા માટે ઝગડતા બન્ને યુવકોને જુએ છે. શ્વેતાને જોતાની સાથે જ અનિલ અને મનોજ ચુપચુપ પોતાની જગ્યા પર જઇને બેસી જાય છે અને થોડીવારમાં ત્યાથી બહાર નિકળી જાય છે. કોલેજની બહાર નિકળતાની સાથે જ ફરીથી અનિલ મનોજની પાસે પહોંચી જાય છે અને ધમકી આપતા કહે છે જો તું શ્વાતાને નહી ભુલે તો હું તને બરબાદ કરી નાખીશ, તને ક્યાંયનો નહી રહેવા દઉ. તેમ છતાં પણ મનોજ શાંત રહે છે અને માત્ર એટલુ જ કહે છે કે આપણે બન્ને શ્વેતાને પ્રેમ કરીએ છીએ પણ શ્વેતા તો એક ને જ મળશે ત્યારે અનિલ ઉગ્રતાથી કહે છે કે શ્વેતા તો મારી જ છે અને તેના માટે હું કોઇને મારતા પણ નહિ અચકાઇસ નહી. મનોજના આ શબ્દો શ્વેતા સાંભળી જાય છે અને ગુસ્સે થઇને શ્વેતા કહે છે કે, અનિલ આ તે શું માંડ્યુ છે કે શ્વેતા તો મારી જ છે, તું કહેવા શું માંગે છે? અનિલે જણાવ્યુ કે હું તને પ્રેમ કરૂ છુ. તું પ્રેમ કરતો હોય તો તારે મને આવીને કહેવું જોઇએ કે મનોજને તેવો શ્વેતાએ પ્રશ્ન કર્યો. અનિલે કહ્યુ કે, આ મનોજ પણ તને પ્રેમ કરે છે, એ તને પરેશાન ન કરે એટલે હું તેને સમજવાતો હતો. મને બધી ખબર પડે છે તારે મારૂ ધ્યાન રાખવાની કાંઇ જરૂર નથી, પ્રેમ તો દિલથી થાય ધમકાવાથી કાંઇ પ્રેમ ન મળે તેમ કહીને શ્વેતા ત્યાંથી ઘરે જવા માટે નિકળી જાય છે. આ ઘટના પછી રાત્રે મનોજને ઉંઘ નથી આવતી અને તે મોડી રાત્રે શ્વેતાને મોબાઇલ પર મેસેજ કરીને માંફી માંગે છે કે મારા કારણે તારૂ કોલેજમાં નામ બદનામ થયુ. બીજા દિવસે સવારે શ્વેતા કોલેજ આવવા માટે ઘરેથી નિકળી છે ત્યારે મનોજ શ્વેતા પાસે પહોંચી જાય છે અને કહે છે કે હું તને મારા પ્રાણથી પણ વધુ પ્રેમ કરૂ છુ અને જરૂર પડ્યે તને અનિલથી બચાવવા માટે મારા પ્રાણ આપવા પડે તો પણ તૈયાર છુ. આ તું શુ બોલે છે તેમ શ્વેતાએ કહ્યુ ત્યારે મનોજે કહ્યુ કે, અનિલ તને કોઇ પણ ભોગે મેળવવા માંગે છે અને જો તું અનિલને બદલે બીજા કોઇને પ્રેમ કરીશ તો અનિલ તને પામવા માટે તારા પ્રેમીની હત્યા કરતા સહેજ પણ નહિ અચકાય. આ સાંભળીને શ્વેતા સ્તબ્ધ થઇ જાય છે અને એક પણ શબ્ધ બોલી શકતી નથી. થોડીવાર શાંત રહીને શ્વેતા મનોજનો હાંથ પરકડીને સીધે કોલેજના કેમ્પસમાં લઇ આવે છે અને અનિલને બોલાવે છે. અનિલને જોતાની સાથે જ શ્વેતા ઉંચા અવાજમાં કહે છે કે, અનિલ હું મનોજને ખુલ્લેઆમ પ્રેમ કરૂ છુ, તારાથી જે થાય તે કરી લેજે. શ્વેતાનું રણચંડી જેવુ સ્વરૂપ જોઇને અનિલ ધીમા અવાજમાં કહે છે કે પ્રેમ તો હું પણ તને કરૂ છુ ત્યારે શ્વેતાએ સ્પષ્ટ કહી દિધુ કે, તે મને પામવા માટે ભયનો સહારો લીધો જ્યારે મનોજે મને પામવા માટે પ્રેમનો સહારો લીધી છે. ભયભીત કરે તે નહિ પરંતુ ભય મુક્ત કરે એ સાચો પ્રેમ છે. હું પણ મનોજને જ પ્રેમ કરૂ છું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here