નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીઅે દેશમાં વધતી જતી અસહિષ્ણુતા અને માનવ અધિકારોના હનન અનેે દેશમાં મોટા ભાગનું નાણું અમીરોના ખિસ્સામાં જવાથી ગરીબો વચ્ચે વધતી જતી ખાઇ અંગે ચિંતા વ્યકત કરી છે. તેમણે જણાવ્યું હતું કે દેશ આજે સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે.
દિલ્હીમાં ‘શાંતિ, સદ્ભાવ અને પ્રસન્નતા તરફઃ સંક્રમણથી પરિવર્તન’ વિષય પર આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનને સંબોધતાં પ્રણવ મુખરજીએ જણાવ્યું છે કે જે દેશે દુનિયાને વસુધૈવ કુટુંબકમ્ અને સહિષ્ણુતાના સભ્યતા મુલક લોકાચાર, સ્વીકાર્યતા અને ક્ષમાના મૂૂલ્યો પ્રદાન કર્યા છે. એ દેશમાં જ હવે વધી રહેલી અસહિષ્ણુતા અને માનવ અધિકારોના અતિક્રમણના સમાચારો મળી રહ્યા છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીઅે જણાવ્યું હતું કે જ્યારે રાષ્ટ્ર બહુલવાદ અને સહિષ્ણુતાને આવકારે છે અને વિવિધ સમુદાયોમાં સદ્ભાવને પ્રોત્સાહિત કરે છે. જો આપણે નફરતના ઝેરને દૂર કરીએ અને દૈનિક જીવનમાં ઇર્ષા અને આક્રમકતાને દૂર કરીએ તો શાંતિ અને ભાઇચારાની ભાવના પ્રસ્થાપિત કરી શકીશું.
પ્રણવ મુખરજીઅે જણાવ્યું હતું કે જ્યાં વ્યકિતગત સુરક્ષાની ગેરંટી હોય અને લોકતંત્ર સુરિક્ષત હોય એવી સ્થિતિમાં લોકો વધુ ખુશ રહે છે. આર્થિક સ્થિતિની પરવા કર્યા વગર આવી સ્થિતિમાં લોકો શાંતિના માહોલમાં વધુ ખુશ રહે છે. ગુરુ નાનકદેવની પ૪૯મી જન્મજયંતી પર તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરતાં મુખરજીએ જણાવ્યું હતું કે આજે તેમના શાંતિ અને એકતાના સંદેશને યાદ કરવો આવશ્યક છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીઅે જણાવ્યું હતું કે એ દેશોમાં સૌથી વધુ ખુશાલી હોય છે જેઓ પોતાના નાગરિકો માટે મૂળભૂત સુવિધાઓ અને સંસાધનો સુનિશ્ચિત કરે છે, વધુ સુરક્ષા આપે છે, સ્વાયત્તતા પ્રદાન કરે છે અને લોકોની માહિતી સુધી પહોંચ હોય છે.