(જી.એન.એસ.)અમદાવાદ-આણંદ-ભરૂચ,તા.૨૩
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ તેમજ આણંદ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ રાજ્યમાં કોગ્રેસની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું,’ આજે દેશમાં લોકોએ ત્રીજા ચરણના મતદાનમાં ઉત્સાહપૂર્વક મતદાનનો પ્રારંભ કર્યો છે. રાજ્યમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ, યુવાનો, વેપારીઓ ન્યાય મેળવવા માટે લોકતંત્ર બચાવવા માટે પરિવર્તન માટે મતદાન કરવા નીકળ્યા છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશમાં કોંગ્રેસની સરકાર બનશે અને ગુજરાતમાં પણ કોંગ્રેસ ૧૬ કરતાં વધારે બેઠકો જીતશે.”
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને આણંદ બેઠકના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આણંદ બેઠક પર લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું છે અને જે રીતે લોકો મતદાન કરી રહ્યાં છે તે જાતા લાગી રહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસ ૧૬ કરતાં વધારે બેઠકો પર વિજય મેળવશે.
અંકલેશ્વરના પીરામણ ગામમાં કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને તેમના પુત્ર ફૈઝલ પટેલે મતદાન કર્યું હતું.
ભરૂચ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓએ ભરૂચના નેત્રંગ ખાતે તેઓએ મતદાન કર્યું હતું. ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભરૂચ લોકસભાના બીટીપીના ઉમેદવાર છોટુભાઈ વસાવાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓએ વાલિયા તાલુકાના વાસણા ખાતે મતદાન કર્યું હતું.