(જી.એન.એસ.)મુંબઈ,તા.૨૫
અક્ષયકુમારની નવી ફિલ્મ ‘કેસરી’ સુપરહિટ સાબિત થઇ ગઇ છે. આ ફિલ્મ અલગ પ્રકારની ઐતિહાસિક ફિલ્મ હતી, જે ભારતના વીરને સમર્પિત કરાઇ છે. અક્ષયકુમાર છેલ્લા થોડા સમયથી જે પ્રકારની ફિલ્મ કરે છે તે લોકોને જાગૃત બનાવી શકે છે. તે કહે છે કે લોકો પર ફિલ્મનો થોડો પ્રભાવ તો જરૂર પડે છે.
ફિલ્મો સામાજિક પરિવર્તન ન લાવી શકે, પરંતુ એ કામમાં મદદરૂપ તો ૧૦૦ ટકા બની શકે છે. મારી ખુશનસીબી છે કે મને આવી ફિલ્મ ઓફર થઇ, જેમાં કેટલાક જરૂરી મુદ્દા હતા. દર્શકોએ પણ મારી આવી ફિલ્મ પસંદ કરી છે. આગળ પણ મને આવા પ્રકારની સ્ક્રીપ્ટ મળશે તો હું જરૂર તેવી ફિલ્મો કરીશ.
ફિલ્મોની પસંદગીમાં અક્ષય દર્શકોની ભાવનાનું પણ ધ્યાન રાખે છે. તે કહે છે કે હું એવું કોઇ કામ નહીં કરું કે કોઇના દિલને દુઃખ પહોંચે. હું દરેક પ્રકારની ફિલ્મો કરું છું. એક્શન હોય કે કોમેડી કે પછી દેશના વીર માટેની ફિલ્મ હોય. કરિયરની શરૂઆતમાં મારાથી ભૂલ થઇ કે હું માત્ર એક્શન ફિલ્મ સુધી જ સીમિત હતો.