એક સમયે કૉમેડી અને કપિલ શર્મા શૉને લીધે ખૂબ લાઈમલાઈટમાં આવેલો એક્ટર સુનિલ ગ્રોવર હાલ વિવાદસ્પદ વેબસીરિઝ ‘તાંડવ’ના એકદમ ગંભીર રોલને લીધે ચર્ચામાં છે. આજેય અગણિત ચાહકો સુનિલે ભજવેલા ગુત્થી અને ડૉક્ટર ગુલાટીને ભૂલી શકતા નથી. આ સફળતા અને લોકપ્રિયતા છતાં કપિલ શર્મા સાથે વિખવાદ થવાથી સુનિલ ગ્રોવરે ‘કૉમેડી વીથ કપિલ શર્મા’ જેવી દૂઝણી ગાયને રામરામ કરી દીધા હતા.
ત્યાર બાદ સોશ્યલ મીડિયા પર બંનેના ઝઘડા અને સંભવિત પેચ-અપ વિશે ખૂબ ગપગોળા ચાલતા રહ્યા હતા. ત્યાર બાદ બંનેએ ક્યારેય સાથે કામ કર્યું નથી, પરંતુ ઑફ-સ્ક્રીન બેઉ ઘણીવાર સાથે દેખાયા ત્યારે ફરી અફવાબજાર ગરમ થઈ ગયું હતું. આજેય કપિલ શર્મા શૉમાં આવનજાવન થતું રહે છે, પણ સુનિલ ગ્રોવર ધરાર પાછો ન જ ફર્યો. વચ્ચે તેણે સલમાન ખાનની સુપરફ્લોપ ‘ભારત’માં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો.
જો કે, સુનિલ ગ્રોવર ભૂતકાળ ભૂલી જવાનો સ્વભાવ ધરાવતો લાગે છે. શબ્દો ચોર્યા વગર સુનિલ સ્પષ્ટપણે કહે છે કે હું કપિલથી નારાજ થઈ જ ન શકું. તે ખૂબ રમૂજી છે. સતત બહેતર કરવા તત્પર રહે છે, જે ખાસિયતને લીધે તેણે લોકોને પોતાની પાછળ પાગલ બનાવી દીધા છે એની ઑન-ધ-સ્પૉટ પંચલાઈન બોલવાની સ્ટાઇલથી લોકો હસી હસીને બેવડ વળી જાય છે.
આ માત્ર શાબ્દિક વખાણ નથી એના પુરાવા ય મળતા રહે છે. ખુદ કપિલે કબૂલ્યું હતું કે સુનિલ સાથે મુલાકાત થતી રહે છે. આ બંને પંજાબી સ્ટાર ગુરદાસ માનના દીકરાના લગ્નમાં મળ્યા હતા, ત્યાર બાદ દિલ્હીમાં ય મુલાકાત થઈ હતી. ખુદ કપિલે ખુલ્લા દિલથી સ્વીકાર્યું હતું કે નાના-નાના બનાવોથી સંબંધ થોડા ખતમ થાય? સુનિલ ખૂબ સારો એક્ટર છે. અલગ અલગ કલાકારો સાથે કામ કર્યા બાદ મને લાગે છે કે બધા પાસેથી ઘણું શીખવાનું છે. હું સુનિલ પાજી પાસેથી ખૂબ શીખ્યો છું. ભવિષ્યમાં સારો પ્રોજેક્ટ આવ્યો તો એમની સાથે કામ કરવામાં મને બહુ મજા પડશે. પ્રોફેશનાલિઝમે કે સમયને પ્રતાપે કપિલ-સુનિલને સમજાવી દીધું કે બંનેના સંબંધમાં લેશમાત્ર કડવાશ નથી. બંને બર્થ-ડે પર એકમેકને શુભેચ્છા આપે એ માત્ર ઔપચારિકતાને બદલે સાચા દિલથી હોય એવું ઈચ્છીએ.