ચાલીસીમાં પહોંચેલી કરીના કપૂર ફરી એક વાર પ્રેગનન્ટ થઇ છે. ગયા ઑગસ્ટ મહિનામાં જ તેણે આ બબાતનો જાહેરમાં સંકેત આપી દીધો છે. જોકે, આ કામઢી અભિનેત્રી આજે પણ અવિરત પોતાના કાર્યોમાં વ્યસ્ત રહે છે. હાલમાં જે તેણે એક ટોક શો નું શૂટિંગ સંપન્ન કર્યું. સોશિયલ મીડિયા પર આને લગતી તસ્વીરો પણ તેણે વહેતી મૂકી છે. આ તસ્વીરોમાં તે ગર્ભવતી હોવાનું પણ સ્પષ્ટ દેખાય છે. ૨૦૧૨માં પરણેલા આ દંપતીના પ્રથમ સંતાનનો જ્ન્મ ૨૦ ડિસેમ્બર, ૨૦૧૬માં થયો હતો. આ બેબીબોયનું નામ તૈમુર છે, જે બધા જાણે છે. ઇતિહાસના એક કુખ્યાત પાત્ર પરથી પાડેલા આ નામ અંગે તે સમયે ઘણા વાદ-વિવાદ અને ચર્ચાઓ પણ થઇ હતી. હવે નવા વર્ષે આપણને નવા સંતાનની પધરામણીના સમાચાર મળશે. સાથે સાથે તેણે ગર્ભાવસ્થાનું એ ટુ ઝેડ સમજાવતું પુસ્તક પણ નવા વર્ષે પ્રકાશિત કરવાની જાહેરાત તૈમુરના જન્મદિને જ કરી હતી. ‘કરીના કપૂર ખાન્સ પ્રેગનન્સી બાઇબલ’ નામના પુસ્તકથી હવે તે પણ સેલિબ્રિટી લેખકોની યાદીમાં સામેલ થઇ જશે. ઇન્સ્ટાગ્રામ પર તેણે આ પુસ્તકનું મુખપૃષ્ઠ પણ મૂક્યું છે. દરમ્યાન કરીના તેની અંગત મેટર્નિટી ડાયરીમાંથી અમુક પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર મૂકી રહી છે. કરીના કહે છે કે ગર્ભાવસ્થા એ ઢીલાં કપડા પહેરીને તેને છુપાવવાની અવસ્થા નથી પરંતુ તેથી પણ વિશેષ ઘટના છે. આ પુસ્તકમાં તેણે મહિલાઓને સતાવતી મોર્નિંગ સિકનેસથી માંડીને તે સમયની ડાયેટ અને ફિટનેસ બાબતે પણ ઘણું લખ્યું છે. આ પુસ્તકમાં તેની ગર્ભાવસ્થાને ઉજાગર કરતી લીલા ચોકડીવાળા શર્ટ પહેરેલી એનિમેટેડ તસ્વીર મૂકવામાં આવી છે. આ પોસ્ટર અસલમાં તો બીજા વિશ્ર્વયુદ્ધ વખતે એક વીજળી કંપની માટે તૈયાર કરવામાં આવ્યું હતું.
જે મહિલા શક્તિને પ્રોત્સાહિત કરે છે. પાછળથી આ ચિત્ર મહિલા શક્તિનું એક પ્રતીક બની ગયું હતું. હાલમાં કરીના તેના બરખા દત્ત સાથેના ઇન્ટરવ્યૂને કારણે પણ ચર્ચામાં છે. તેણે એવું નિવેદન કર્યું હતું કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ જે રીતે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની છબી ખરાબ કરવામાં આવી રહી છે તેનાથી તેને ઘણું દુ:ખ પહોંચ્યું છે.
બરખાએ પૂછ્યું હતું કે જે પ્રકારે સુશાંતના મોત પર હિન્દી ફિલ્મોદ્યોગ પર અંગૂલિનિર્દેશ કરાઇ રહ્યો છે તેની કિંમત બોલીવૂડે ચૂકવવી પડશે? આ સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે ‘તમે માનો કે ન માનો ઇન્ડસ્ટ્રી પર નિશાન સાધવામાં આવ્યું જ છે. તમે કંઇક કહેશો તો ટીકા કરવામાં આવશે અને નહીં કહો તો પણ તમને નિશાન બનાવવામાં આવશે.’તેણે વધુમાં એમ પણ કહ્યું હતું કે અમે અહીં દર્શકોનું મનોરંજન કરવા માટે છીએ. કોઇ પ્રત્યે ઘૃણા કે નકારાત્મકતા ફેલાવવા માટે નહીં. હાલમાં જ તેણે તેની આગામી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાનું શૂટિંગ પ્રેગનન્સી સાથે જ પૂરું કર્યું છે. આ ફિલ્મનો હીરો આમિરખાન છે. ફિલ્મની વાત કરીએ તો છેલ્લે તે ‘અંગ્રેજી મીડિયમ’માં જોવા મળી હતી. જેમાં મુખ્ય ભૂમિકા સ્વ. ઇરફાનખાને ભજવી હતી. લાલસિંહ ચઢ્ઢા પછી કરણ જોહરની ઐતિહાસિક ફિલ્મ ‘તખ્ત’માં પણ તે જોવા મળશે. જોકે, તેનું શૂટિંગ હજી સુધી શરૂ નથી થયું.