એજન્સી, બેંગલુરુ
કર્ણાટકના માંડ્યામાં હ્રદય દ્રાવક ઘટના બની છે. નહેરમાં યાત્રીઓથી ભરેલી બસ પડી જતા લગભગ 25 લોકોના મોત થયા છે આ ઘટનામાં અન્ય કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, એક ખાનગી બસ નિયંત્રણ ગુમાવતા નદીથી જોડાયેલી નહેરમાં પડી ગઇ હતી
ઘટનાસ્થળ પર રાહત અને બચાવની કામગીરી હાથ ધરાઇ છે. કર્ણાટકના ડેપ્યુટી સીએમ જી પરમેશ્વરાએ જણાવ્યું હતું કે, ઘટનામાં 25 લોકોના મૃત્યુ થયા છે. મને લાગે છે કે, ડ્રાઇવર યોગ્ય રીતે બસ હંકારી રહ્યો નહતો. આ મામલે વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે પ્રાપ્ત માહિતી મુજબ, માંડ્યા જિલ્લામાં કાવેરી નદીથી નિકળનારી વીસી નહેરમાં એક ખાનગી બસ નિયંત્રણ ગુમાવતા ખાબકી હતી. બસ નહેરમાં ખાબકતા યાત્રીઓને બહાર નિકળવાનો સમય ન મળતા તેઓ ડૂબવા લાગ્યા હતા.
તેમના મતે મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. ઘટનાસ્થળ પર પોલીસ અને સ્થાનિક અધિકારીઓ સિવાય અન્ય લોકો પણ મદદ કરવા પહોંચ્યા હતા.