ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા પણ બજેટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભા બજેટ સત્રને લઈને આખરી તૈયારીઓ ચાલી રહી છે. ૧લી માર્ચે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. ઓછામાં ઓછા ૨૪ દિવસ સુધી આ બજેટ સત્ર ચાલી શકે છે. પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહને સંબોધિત કરશે. રાજ્યપાલના સંબોધન બાદ રાજ્યના પૂર્વ બે મુખ્ય પ્રધાનો માધવસિંહ સોલંકી અને કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. રાજ્યપાલના સંબોધન બાદ આભાર પ્રસ્તાવ પર ત્રણ દિવસ ચર્ચા કરવામાં આવશે. અંદાજ પત્રની સામાન્ય ચર્ચા માટે પાંચ દિવસનો સમય ફાળવવામાં આવશે. અંદાજપત્રની માગણીઓ પર ૧૨ દિવસ ચર્ચા થવાની છે. વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્ય સરકાર લવ જેહાદ સુધારા સહિતના વિધેયકો રજૂ થશે.બજેટ સત્રમાં કેગનો ઓડિટ અહેવાલ પણ રજૂ કરવામાં આવશે.