રાહુલ ગાંધની ઉપસ્થિતિમાં પ્રભારીએ 50 બેઠક જીતવાનો દાવો કર્યો
– છતીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે પાતળી સરસાઈ રહેવાની શક્યતા
એજન્સી, નવી દિલ્હી:
દેશના પાંચ રાજ્યો છતીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમની ચૂંટણીના પરિણામો પર સૌની નજર છે. આ દરમિયાન છતીસગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીટોનું ઓછું અંતર હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જેના અનુસંધાનમાં સાવચેતીના ભાગરુપે છતીસગઢમાં કોંગ્રેસ પોતાના નવા ચૂંટાયેલ ધારાસભ્યોને એક સ્થાને તાત્કાલિક બોલાવી લેશે. એક રીતે છતીસગઢમાં ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસ ‘રિસોર્ટ પોલીટિક્સ’ની શરણ લેશે.
છતીસગઢ કોંગ્રેસના સૂત્રોના કહેવા અનુસાર રાજ્યમાં 11મી ડિસેમ્બરે મતગણતરી થશે. અમારી પાસે ફીડબેક આવી રહ્યાં છે કે રાજ્યમાં કોંગ્રેસ જીતશે, એ નક્કી છે. પરંતુ રાજ્યની વર્તમાન રાજનીતિને જોતાં અમારી ચિંતા વધી છે. એટલે તમામ ધારાસભ્યોને પરિણામ બાદ તરત એક સ્થળે એક્ત કરવાનું આયોજન કરાયું છે.
આ સંદર્ભમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે પોતાના રણનીતિકારોની મીટીંગ બોલાવી હતી. આ દરમિયાન રાજ્યના પ્રભારીઓએ વોટિંગ ટ્રેન્ડ અંગે માહિતી આપી હતી.
કોંગ્રેસના સૂત્રો અનુસાર, છતીસગઢ કોંગ્રેસના પ્રભારી પીએલ પુનિયાએ રાહુલ ગાંધીને માહિતી આપતા જણાવ્યું કે, પાર્ટી લગભગ 50 સીટ જીતી રહી છે. એમાં અજીત જોગીના ગઢ ગણાતા સતનામી બેલ્ટ, બિલાસપુર, મુંગેલી,બલોધા બાજાર અને જોજગિર-ચંપામાં પણ કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છતીસગઢ વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ હતી. એટલે આ વખતે કોંગ્રેસ સાવધાનીના ભાગરુપે તમામ ધારાસભ્યોને એક જગ્યા કોઈ રિસોર્ટમાં એકત્ર કરવાની યોજના બનાવી રહી છે, જેથી જીત મળે તો બહુમત સાબિત કરવામાં કોઈ અવરોધ પેદા થાય નહીં.