એજન્સી-બ્યૂનો આયર્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્જેન્ટિનાના બ્યૂનો આયર્સમાં ચાલી રહેલી જી-20 શિખર સંમેલનમાં શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે ત્રિપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ અને પડકારો પર ચર્ચા થઇ હતી. વડાપ્રધાન મોદીએ ભાગીદારી મૂલ્યો પર સાથે મળીને કામ ચાલુ રાખવા પર ભાર આપતા જણાવ્યું કે જેએઆઇ (જાપાન, અમેરિકા, ભારત)ની બેઠક લોકતાંત્રિક મૂલ્યોના પ્રત્યે સમર્પિત છે… ‘જેએઆઇનો અર્થ જીત શબ્દથી છે.’
આ ત્રિપક્ષીય બેઠક દરમિયાન ટ્રમ્પે ભારતના વિકાસ અને તેની ગાથાના વખાણ કર્યા. ત્રણેય નેતાઓએ સંપર્ક, સ્થાયી વિકાસ, આતંકવાદ નિરોધ અને સમુદ્ર તેમજ સાઇબર સુરક્ષા જેવા વૈશ્વિક અને બહુપક્ષીય હિતોના તમામ મોટા મુદ્દાઓ પર ત્રણેય દેશોની વચ્ચેના સહયોગ જોર આપ્યું હતું.
આ બેઠક એવા સમયમાં થઇ જ્યારે ચીન દક્ષિણ ચીન સાગરમાં ક્ષેત્રીય વિવાદ અને પૂર્વ ચીન સાગરમાં જાપાનની સાથે વિવાદમાં ફસાયેલું છે. આ બંને ક્ષેત્ર ખનીજ, તેલ અને અન્ય પ્રાકૃતિક સંસાધનોથી સંપન્ન છે. ચીન સમગ્ર દક્ષિણ ચીન સાગર પર પોતાનો હક જમાવે છે અને દાવો કરે છે જ્યારે વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા, બ્રુનેઇ અને તાઇવાન આ જળમાર્ગો પર પોતાનો દાવો કરે છે. તેમાં તે સમુદ્રી માર્ગ પણ સામેલ છે જેમાંથી દર વર્ષે અંદાજે 3000 અબજ ડોલરના વૈશ્વિક વેપારનું પરિવહન થાય છે. મોદી, ટ્રમ્પ અને આબે બહુપક્ષીય સંમેલનોમાં ત્રિપક્ષીય પ્રારૂપમાં બેઠક કરવાના મહત્વ પર પણ સહમત થયા.
આતંકવાદ, નાણાંકીય ગુનાઓ દુનિયા માટે ખતરનાક
આ સિવાય જી-20 સમિટમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાળાનાણાં પર પણ ચર્ચા કરી અને તેની વિરૂદ્ધ દુનિયાભરના તમામ વિકાસશીલ દેશોને એકજુટ થવાની અપીલ કરી. સાથે મોદીએ એ ખતરાની તરફ પણ ધ્યાન દોર્યું જેનો સામનો આજે પણ સમગ્ર દુનિયા કરી રહી છે. મોદીના મતે તેમાં આતંકવાદ અને નાણાંકીય ગુના બે સૌથી મોટો ખતરા છે.