પાટીદાર આંદોલન સમિતિના (પાસ) કન્વીનર હાર્દિક પટેલને આમરણાંત ઉપવાસના 14મા દિવસે શુક્રવારે તબિયત લથડતા સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જો કે, પાસે સ્પષ્ટતા કરી છે કે હાર્દિકની તબિયત લથડવાને લીધે માત્ર ઉપચાર માટે તેનો હોસ્પિટલમાં દાખલ કરાયો છે, પરંતુ તેના ઉપવાસ તો ચાલુ જ છેઅલબત્ત સૌથી મોટો સવાલ એ છે કે જે સરકારની સામે પડીને હાર્દિક આટલું મોટું ઉપવાસ આંદોલન ચલાવી રહ્યો છે અને જે સરકાર હિંસાનો માર્ગ અપનાવીને આંદોલનને તોડવાનો પ્રયાસ કરશે તેવી ખુદ હાર્દિક ગુરુવારે દહેશત વ્યક્ત કરી ચૂક્યો છે તે જ સરકારની હોસ્પિટલમાં શા માટે હાર્દિક ગયો તે પ્રશ્ન સહુને થઈ રહ્યો છે. એટલું જ નહીં, હાર્દિકની સ્થિતિ એટલી પણ ક્રિટિકલ નહોતી થઈ ગઈ કે તેને કોઈ પણ નજીકની હોસ્પિટલમાં જ લઈ જવો પડે.
નજીકમાં જ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલો, છતાં હાર્દિક સરકારી હોસ્પિટલમાં ગયો
બીજું કે, હાર્દિક ગ્રીનવુડમાં છત્રપતિ નિવાસે આ ઉપવાસ આંદોલન કરી રહ્યો હતો અને ત્યાંથી સોલા સિવિલ 10 કિ.મી.ના અંતરે છે એ સાચું પરંતુ માત્ર 2 કિમીના અંતરે કે ડી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ છે આ ઉપરાંત, ઝાયડસ હોસ્પિટલ (12 કિમી) અને કોલમ્બિયા એશિયા (13 કિમી) જેવી મલ્ટિ સ્પેશિયાલિટી ખાનગી હોસ્પિટલો નજીકના અંતરે જ હોવા છતાં હાર્દિક સોલા સિવિલમાં જાય તેના પગલે સરકારના વ્યૂહ, નરેશ પટેલના આગમન અને તેનાથી ઉપવાસ આંદોલનની નવી દિશા તરફ ગર્ભિત સંકેતો મળી રહ્યા છે. શા માટે હાર્દિક મલ્ટિ સ્પેશિયાલિટી ખાનગી હોસ્પિટલોને છોડીને સરકારી સોલા સિવિલમાં જ દાખલ થયો તે પ્રશ્ન સહુ કોઈને સતાવી રહ્યો છે.
સરકારી હોસ્પિટલમાં કોઈ પણ ખેલ પડી શકે તેવી ગોઠવણની શંકા
સોલા સિવિલ એ સરકારી હોસ્પિટલ છે અને સરકાર ધારે તે ખેલ અહીં પાડી શકે તેમ છે. તદુપરાંત પોલીસે હાલ સોલા સિવિલ હોસ્પિટલની અંદર અને બહાર મજબૂત કિલ્લેબંધી કરી દીધી છે અને હાર્દિક અત્યારે એક રીતે જોઈએ તો સંપૂર્ણપણે સરકારની ગિરફ્ત અને તાબામાં છે. આવામાં સમાધાનની કોઈ ફોર્મ્યુલા અહીં નક્કી કરવામાં જેટલી સુગમતા થઈ શકે તેટલી બીજી કોઈ જાહેર કે ખાનગી જગ્યાએ ન થઈ શકે.