બોકો હરામ આતંકી સંગઠનથી પ્રભાવિત વિસ્તારમાં લાખો લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી
નાઇજીરીયાના પૂર્વ-ઉત્તર વિસ્તારમાં ઝાડા-ઉલટીની મહામારીએ 175 લોકોનો ભોગ લઇ લીધો છે. નાઇજીરીયાનો આ વિસ્તાર બોકો હરામ જેવા આતંકી સંગઠનની હિંસાથી ભારે પ્રભાવિત થયો છે અને ત્યાં વસતા લાખો લોકોને શિબિરોમાં આશ્રય લેવાની ફરજ પડી હતી.
શિબિરો માટે સરકારે પૂરતી જગ્યા ન ફાળવેલ હોવાથી આશ્રિતો પશુઓની જેમ રહેવા માટે મજબૂર થયા હતા. નોર્વે રેફ્યુજી કાઉન્સિલે સોમવારે રિપોર્ટમાં જણાવ્યું કે શિબિરોમાં ઝાડા-ઉલટીની મહામારી ખૂબ જ ઝડપથી ફેલાઇ રહી છે, 10 હજારથી વધારે આશ્રિતો નાથી પ્રભાવિત થયા છે અને 175 આશ્રિતોની મોત થઇ છે.
બોર્નોની રાજધાની મૈડુગુરીમાં રિપોર્ટને જાહેર કરતા એનઆરસીએ જણાવ્યું કે બીમારી ફેલાવાનું કારણ શિબિરોમાં મર્યાદા કરતા વધારે આશ્રિતોની સંખ્યા છે. તેમને પૂરતા પ્રમાણમાં પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી શકાતી નથી, જેથી સમગ્ર શિબિર વિસ્તારમાં ગંદકી ફેલાઇ ગઇ છે. પાણી જેવી પ્રાથમિકતાના અભાવે સાફ-સફાઇ કરવાનું શક્ય નથી બની રહ્યું. આશ્રિતો ખૂબ જ ઝડપથી ઝાડા-ઉલટીની બીમારીનો શિકાર બની રહ્યા છે. તદઉપરાંત વિસ્તારમાં વરસાદની મોસમે સ્થિતિ વધારે બગાડી છે.
નોંધનીય છે કે 2009થી સરકારના વિરોધમાં બોકો હરામ સંગઠને બંડ પોકાર્યો હતો અને ત્યારથી આ વિસ્તાર હિંસાથી પ્રભાવિત થયો છે. ત્યાં વસતા લાખો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.