ગાંધીનગર: આજે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સમર્પણ ગ્રાઉન્ડ પર સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં શંકરસિંહના સમર્થકો અને સહકાર્યકરો હાજર રહેશે. તો કેટલાક સમર્થકો બાઇક રેલી યોજીને સમારોહ સ્થળે પહોંચશે. આ સમારોહમાં શંકરસિંહ આગામી કાર્યક્રમોની જાહેરાત કરશે. સમારોહમાં ભાજપ-કોંગ્રેસ અને NCPના બાગી નેતાઓ હાજર રહી શકે છે.
ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાએ ગુજરાત કોંગ્રેસ સાથેથી વિધાનસભા ચૂંટણી સમયે છેડો ફાડ્યા બાદ પોતાના ત્રીજા મોરચાની રચના કરી હતી. જો કે વિધાનસભામાં તેમનો આ પક્ષ ખાસ વર્ચસ્વ જમાવી શક્યો નહીં. આ સાથે જ ગુજરાતના રાજકારણમાં ખાસ સ્થાન ધરાવતા શંકરસિંહ વાઘેલાએ આજરોજ ગાંધીગનર ખાતે સ્નેહમિલનનું આયોજન કરતા રાજકારણમાં વિવિધ ચર્ચાનો દોર શરૂ થયો હતો.
આપને જણાવી દઇએ કે, ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના સ્નેહમિલન સમારોહમાં મોટી સંખ્યામાં ચાહકો અને કાર્યકરો બાઇક અને અન્ય વાહનો દ્વારા આવી પહોંચશે. આ સાથે જ બાપુ પોતાના સ્નેહમિલનમાં મોટી જાહેરાત પણ કરી શકે છે.