અમદાવાદ: ગીતામંદિર એસટી બસસ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧પ પર પાંચ મહિના પહેલાં મળી આવેલી ચાર વર્ષની બાળકીના માતાપિતા નહી મળતા પોલીસે ગઇ કાલે ફરિયાદ કરી છે. પાંચ મહિના પછી પોલીસે ફરિયાદ કરતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. એક બાજુમાં પોલીસ મીસીગ ચાઇલ્ડનું અભિયાન ચલાવી રહી છે ત્યારે પોલીસે પાંચ મહિના પછી ફરિયાદ કેમ કરી તે એક સવાલ છે.
ઇસનપુરમાં આવેલ મૃદૃલપાર્ક સોસાયટીમાં રહેતા અને એસ.ટી.બસ સ્ટેશન પર પાણીની બોટલ વેંચીને પોતાનું ગુજરાન ચલવતા હરીશભાઇ સાવનાણીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમં એક અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં બાળકીને ત્યાજી દેનાર વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. તારીખ ૧પ-પ-ર૦૧૮ ના રોજ હરીશભાઇ પાણીની બોટલ લઇને બસ સ્ટેશનમાં ફેરી કરતા હતા તે સમયે પ્લેટફોર્મ નંબર ૧પ પર ત્રણથી ચાર વર્ષની બાળકી ઊભી હતી. કેટલાય સમય સુધી બાળકી એકલી ઊભી હતી ત્યારે હરીશભાઇ તેની પાસે ગયા હતા અને તેના માતાપિતા અંગે પૂછ્યુ હતું. બાળકીએ કોઇ જવાબ નહીં આપતા તેણે રડવાનું શરૂ કરી દીધું હતું. બસ સ્ટેશનમાં લોકો ભેગા થઇ ગયા હતા અને બાળકીના માતાપિતાની શોધખોળ શરૂ કરી હતી. હરીશભાઇ તેમજ અન્ય પેસેન્જરો તેને એસટીના કંટ્રોલરૂમમાં લઇ ગયા હતા.
એસ.ટી.બસસ્ટેશન પર લગાવેલા સીસીટીવીને એસટીના કર્મચારીઓએ ચેક કર્યા હતા જેમાં એક સફેદ કલરનો શર્ટ પહેરેલ યુવક બાળકીને પ્લેટફોર્મ નંબર ૧પ પર મૂકીને જતો રહ્યો હતો. બાળકીને ચાઇલ્ડ હેલ્પ લાઇનની ટીમને સોંપવામાં આવી હતી. પાંચ મહિના પહેલા ગીતામંદિર એસટી સ્ટેન્ડ પરથી મળેલી બાળકીના મામલે કાગડાપીઠ પોલીસે ગઇ કાલે ફરિયાદ નોંધી છે. પોલીસે પાંચ મહિના સુધી ગુનો કેમ દાખલ કર્યો નથી તે મામલે લોકોમા ચર્ચા ઊઠી છે.
પોલીસે િબનવારસી મળી આવેલ બાળકીની ફરિયાદ પાંચ મહિના પછી નોંધી છે. આ મામલે કાગડાપીઠ પોલીસસ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ મોદીએ જણાવ્યું છે કે અરજીના આધારે તપાસ શરૂ કરી હતી, પરંતુ તેના માતા-પિતા નહીં મળતા અંતે ફરિયાદ કરી છે.
ભારત સરકારની ગાઇડલાઇન પ્રમાણે જો છ વર્ષ સુધીની બાળકી કે બાળક િબનવારસી મળી આવે તો ૭ર કલાકમાં પોલીસે ફરિયાદ નોંધવાની હોય છે. ભારત સરકારની અડોપ્શન ગાઇડ લાઇન ર૦૧૭ના રેગ્યુલેશન પ્રમાણે જો કોઇ પણ અનાથ કે ત્યાજેલુ બાળક મળે અને તેના ૯૦ થી ૧ર૦ દિવસમાં કોઇ માતાપિતા તે બાળક અંગે ક્લેમ ના કરે તો ચાઇલ્ડ વેલફેર કમીટીના ડીસ્ટ્રીક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટના ડીકલેશનના આધારે ફ્રી ફોર અડોપ્શનનું સર્ટીફીકેટ સ્પેશિયલ એડોપ્શન એજન્સીને આપે છે, જેના આધારે બાળક દત્તકમાં જવાની પ્રોસેસ હાથ ઘરાય છે. પોલીસે પાંચ મહિના સુધી ફરિયાદ કેમ નથી નોંધી તે મામલે અનેક સવાલ ઊભા થયા છે.