બાપુનગર વિસ્તારમાં ‘ટીવી ટાઇમ્સ ન્યુઝ’ ચેનલ અને ‘સ્કુલ ઓફ જર્નાલિઝમ’નું થયું ભવ્ય ઉદ્દ્ઘાટન

0
1444

પત્રકારત્વ ક્ષેત્રે ‘સ્કુલ ઓફ જર્નાલિઝમ’ સમાજના દિકરા-દિકરીઓનું બનાવશે ઉજવળ ભવિષ્ય : પ્રમુખ પુરષોત્તમભાઇ કકાણી

અમદાવાદ, તા.૨૧
શહેરના બાપુનગર વિસ્તારમાં હરદાસબાપુ પટેલ સમાજકલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે ‘સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, અમાદાવાદ’ અને ‘સનવિલા સમાચાર’ના સહયોગથી ‘ટીવી ટાઇમ્સ ન્યુઝ ચેનલ’ અને ‘સ્કુલ ઓફ જર્નાલિઝમ’નો ભવ્ય ઉદ્દ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ સમારોહનું ઉદ્‌ઘાટન પટેલવાડી સમાજના પ્રમુખ શ્રી બાબુભાઇ વોરા, ‘સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના પ્રમુખ શ્રી પુરષોત્તમભાઇ કકાણી (દાસભાઇ), નિકોલ-નરોડા પટેલ સમાજના પ્રમુખ શ્રી મગનભાઇ રામાણી, બાપુનગર વોર્ડના કાઉન્સિલર અને પટેલ સમાજના અગ્રણિ શ્રી અશ્વિનભાઇ પેથાણી, એએમટીએસના માજી ચેરમન શ્રી બાબુભાઇ ઝડફિયા, પટેલવાડી સમાજના મંત્રી રમેશભાઇ કાનાણી, બાપુનગર મહિલા કો.ઓ.બેંકના ચેરમન શ્રી કનુભાઇ કોઠીયા, બાપુનગર વોર્ડના કાઉન્સિલર શ્રી જે.ડી પટેલ, નિકોલ વોર્ડના કાઉન્સિલર અને હાલના રેવન્યુ કમિટીના ચેરમન શ્રી ગૌતમભાઇ કથિરિયા, ગેલેક્ષી ગ્રુપના ચેરમેન શ્રી ઉદ્દયભાઇ ભટ્ટ, ડિ.એન પોલિટેકનિકના પ્રમુખ શ્રી દિપકભાઇ ચૌહાણ અને ટીવી ટાઇમ્સના ન્યુઝ એડિટર શ્રી રાજુભાઇ પટેલ, તેમજ સનવિલા સમાચારના મુખ્ય તંત્રી જીગ્નેશભાઇ પટેલ, અને શ્રી આર.કે પ્રિન્ટર્સ & બાઇન્ડર્સના ચેરમેન શ્રી વજુભાઇ પટેલ સહિતના મહાનુભાવોએ કર્યું હતું. જ્યારે આ સમારોહના મુખ્ય મહેમાન એવા કેન્દ્રીય કૃષિ અને પંચાયત મંત્રી શ્રી પુરસોત્તમભાઇ રૂપાલા કોઇ અંગત કારણોસર હાજર રહી નહી શકતા, તેઓએ આ મીડિયા ગ્રુપને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. તથા મહેમાન એવા ઠક્કરબાપા વિધાનસભાના ધારાસભ્ય શ્રી વલ્લભભાઇ કાકડીયા, દરક્રોઇના ધારાસભ્યશ્રી બાબુભાઇ પટેલ, નિકોલના ધારાસભ્યશ્રી જગદિશભાઇ પંચાલ, અસારવાના ધારાસભ્યશ્રી પ્રદિપભાઇ પરમાર વગેરે મહાનુભાવોએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે રાજયના કેન્દ્રીય કૃષિ અને પંચાયત મંત્રી શ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાએ એના સંદેશામાં જણાવ્યું હતું કે, જે પ્રકારે ગુજરાતનો અને ભારતનો વિકાસ થઇ રહ્યો છે તે જાતાં યુવાનો માટે હવે વિવિધ ક્ષેત્રોમાં ખાસ કરીને મીડિયામાં નોકરી અને રોજગારની બહુ વિપુલ તકો રહેલી છે. બસ યુવાનોએ તેમનામાં રહેલી ક્ષમતાઓ ઓળખીને પોતાના આત્મવિશ્વાસને જગાવવાની જરૂર છે. તેમણે યુવાનોને ખાસ સંદેશો આપતાં ઉમેર્યું કે, તમે નોકરી કે તાલીમમાં જે કંઇ પણ શીખો કે કાર્ય કરો તે પૂરા દિલથી અને ધગશથી કરો, તેના થકી એક દિવસમાં તમે સફળતાના શિખરો સર કરી શકશો. દરમ્યાન નિકોલના કાઉન્સિલર શ્રી ગૌતમભાઇ કથિરિયાએ યુવક-યુવતીઓ માટે પત્રકારત્વની કારકિર્દી એક આશીર્વાદ સમાન છે કે જેનાથી તેઓ પોતાનું ઉજવળ ભવિષ્ય બનાવી શકે છે. જ્યારે ડી.એન.પોલીટેકનીક સંસ્થાના પ્રિન્સીપાલ અને ટીવી ટાઇમ્સ ન્યુઝના પાર્ટનર શ્રી દિપકભાઇ ચૌહાણે આ ન્યુઝ ચેનલ અને ‘સ્કુલ ઓફ જર્નાલિઝમ’નો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
‘સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના પ્રમુખ શ્રી પુરષોત્તમભાઇ કકાણી(દાસભાઇ)એ જણાવ્યું હતું કે, વર્ષો જુના અખબારો જેવાકે અમેરિકાનું ‘વોસીંગટન પોસ્ટ’ કે ભારતનું હિન્દુસ્તાન ટાઇમ્સ’ જેવા અખબારોની શરૂઆત નાના પાયેજ થઇ હતી અને આજે તેઓ વટવૃક્ષની જેમ આખી દુનિયામાં ફેલાયેલા છે, તેવીજરીતે આજથી ૬ વર્ષ પહેલા અક્ષેશભાઇએ શરૂ કરેલું 4 પેજનું બ્લેક એન્ડ વાઇટ દિનૈક અખબાર ‘સનવિલા સમાચાર’ આજે ૧૨ પેજનું ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનું મલટી કલર દૈનિક અખબાર બની ગયું છે. તે જે સ્પીડથી આગળ વધી રહ્યાં છે તે કાયમ રહે તેવી આશા હું રાખી રહ્યો છું. આજે તેવો ઇલેક્ટ્રોનિક માધ્યમની ન્યુઝ વેબ ચેનલ લોન્ચ પણ કરી રહ્યાં છે તે ખુબ ટૂંકા ગાળામાં મોટી ગુજરાતી ન્યુઝ ચેનલનું રૂપ ધારણ કરે તેવી પ્રબળ ઇચ્છા હું રાખી રહ્યો છું. જે પત્રકારો વાહક તરીકે પત્રકારત્વમાં કામ કરતા હોય છે તેના માટે ‘સ્કુલ ઓફ જર્નાલિઝમ’ની શરૂઆત કરી રહ્યાં છે તેમાં ‘સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, અમદાવાદ’ પણ જોડાઇ રહ્યું છે ત્યારે સમાજના દિકરા-દિકરીઓને આ ક્ષેત્રમાં યોગ્ય શિક્ષણ મળે તે હેતુ પાર પડશે. તેમજ સમાજને સાથે રાખે અને સમાજની ભાવનાવાળા પત્રકારો બહાર આવે તેવી ‘સ્કુલ ઓફ જર્નાલિઝમ’ની સંસ્થા શરૂ થાય તેવી હું શુભેચ્છા પાઠવું છું. જર્નાલિઝમની કોલેજો અમદાવાદમાં ખૂબ ઓછી છે લગભગ ૪ કે 5 જ છે, ત્યારે પટેલ સમાજના દિકરા – દિકરીઓને આ ક્ષેત્રમાં પણ યોગ્ય શિક્ષણ આપણા વિસ્તારમાં મળે રહે તે હેતુ ‘સ્કુલ ઓફ જર્નાલિઝમ’ પુરો પાડે તેવી ઇચ્છા હું રાખી રહ્યો છું. આજે પત્રકારોનું કામ ખૂબજ અગત્યનું છે, દિવ્યભાસ્કરે સપ્તાહમાં એક દિવસ ‘નો નેગેટીવ ન્યુઝ’ની શરૂઆત કરી, તેવીજરીતે આ સમાચાર અને ન્યુઝ ચેનલ પણ હંમેશા હકારાત્મક અને સમાજને ધ્યાનમાં રાખી ન્યુઝ પ્રસિદ્ધ કરે તેવી આશા રાખું છું. આ ઉપરાંત દાસકાકાએ સમાજમાં હાલમાં ચાલી રહેલા ‘મી-ટૂ’ અભિયાનની વાત પણ કરી હતી. દાસકાકાના આર્શીવચન બાદ અખબાર અને ચનલના તંત્રી અક્ષેશભાઇ સાવલિયાએ જણાવ્યું હતું કે, “દિવ્યભાસ્કર ભલે સપ્તાહમાં એક દિવસ ફકત હકારાત્મક સમાચાર આપતું હોય પરંતુ ‘સનવિલા સમાચાર’ની ટેગ લાઇન જ છે ‘હકારાત્મક સમાચાર પ્રસિદ્ધ કરતું અને વટથી પ્રસિદ્ધ થતું ગુજરાતી અને અંગ્રેજી દૈનિક અખબાર’. ફકતને ફકત સમાજના માટે અને હકારાત્મક, વિકાસલક્ષી સમાચાર પ્રસિદ્ધ કરતું ‘સનવિલા સમાચાર’ ક્યારે સમાજ વિરોધી કાર્ય કર્યું નથી અને કરશે પણ નહીં અને અખબારની જેમ હવે ન્યુઝ ચેનલ પણ એજ હકારાત્મક, સમાજલક્ષી સમાચારો ટેલીકાસ્ટ કરવાના રસ્તે ચાલશે, તેવી ખાતરી તેઓએ આપી હતી.
આ પ્રસંગે મહિલા કો.ઓ.બેંકના ચેરમેનશ્રી કનુભાઇ કોઠિયાએ જણાવ્યું હતું કે, કોઇપણ કામ નાનું હોતું નથી. કારકિર્દીની શરૂઆત હંમેશા નાના કાર્યથી જ શરૂ થતી હોય છે, તેનાથી ગભરાવાની કે સંકોચ રાખવાની જરૂર નથી. કોઇપણ કામ કરવામાં શરમ કે સંકોચ ના અનુભવો. આજના તમે યુવાનો દેશનું ભવિષ્ય છો અને તમારામાં અખૂટ શકિત અને ક્ષમતાઓ પડેલી છે, તેને ઓળખો. આજના આધુનિક અને વિકાસશીલ જમાનામાં ભણતરની સાથે સાથે કૌશલ્યની અને તાલીમની પણ એટલી જ અનિવાર્યતા છે. કૌશલ્ય કે તાલીમ પામેલ યુવાન કયારેય બેરોજગાર નહી હોય. તમે એવું વિચારશો કે, આ કામ નાનું છે અને તેમાં પૈસા નથી તો, તમારી પ્રગતિ ત્યારે જ રૂંધાઇ જશે પરંતુ એ કામ શીખતા શીખતા જીવનમાં તમે આગળ વધશો તો તમારી કારકિર્દી ઘડાવાની સાથે સાથે તમે એક દિવસ સફળતાના શિખરે પહોંચી જશો. તેમજ નિકોલ-નરોડા પટેલ સમાજના પ્રમુખ શ્રી મગનભાઇ રામાણી, બાપુનગર વોર્ડના કાઉન્સિલર અને પટેલ સમાજના અગ્રણિ શ્રી અશ્વિનભાઇ પેથાણી, એએમટીએસના માજી ચેરમન શ્રી બાબુભાઇ ઝડફિયાએ ‘અક્ષેશ સાવલિયા’ સહિત આ મિડિયા ગ્રુપને હાર્દિક શુભકામના પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here