ઉમા ભારતીએ કહ્યું, ઔવેસી અને આઝમ ખાન પણ રામ મંદિરના નિર્માણમાં સહયોગ કરે
એજન્સી, નવી દિલ્હી
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બે દિવસ અયોધ્યામાં રહ્યા હતા. ત્યાં તેમણે જણાવ્યું હતું કે, ભગવાન રામ માત્ર ભાજપના નથી. ઉમા ભારતીએ હવે ઉદ્ધવ ઠાકરેના નિવેદનની પ્રશંસા કરતા જણાવ્યું છે કે, ભગવાન રામ પર બધાનો હક છે. હું તમામ રાજકીય નેતાઓને અપીલ કરું છું કે તેઓ રામ મંદિરના નિર્માણમાં સહયોગ કરે. હું સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, અકાળી દળ, ઔવેસી, આઝમ ખાન અને અન્યને જણાવીશ કે, તેઓ રામ મંદિરના નિર્માણમાં સહયોગ કરે.
નોંધનીય છે કે, શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રવિવારે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે રામ મંદિરના નિર્માણ અંગે સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન રામ મંદિરના મુદ્દાનો ઉપયોગ થવો જોઇએ નહીં અને હિંદુઓની ભાવના સાથે રમત ના રમાવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, દિવસ, વર્ષ અને 10 વર્ષ થઇ ગયા છે પરંતુ રામ મંદિરનું નિર્માણ થઇ શક્યું નથી.
બીજી તરફ ઘર્મ મહાસભામાં વાત કરતા સ્વામી રામભદ્રાચાર્યએ જણાવ્યું હતું કે, 11 ડિસેમ્બર બાદ રામ મંદિર મામલે એક મોટો નિર્ણય લેવાશે. તેમણે જણાવ્યું હતું કે, એક મોટા મંત્રીએ આ અંગે વિશ્વાસ આપ્યો છે. આચાર સંહિતાને કારણે આ ચુકાદો અટક્યો છે. એક એવો નિર્ણય આવશે ત્યારબાદ રામ મંદિરનું નિર્માણ થઇને જ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે સમય આપવામાં આવશે નહીં. લાખો-કરોડો હિંદુઓની ભાવનાને ધ્યાનમાં રાખીને આ અંગે તાત્કાલિક રીતે કોઇ ચોક્કસ નિષ્કર્ષ સુધી પહોંચવાની જરૂર છે.