એજન્સી, મુંબઇ:
સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ શનિવારે ચીમકી આપી છે કે, જો ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી લોકપાલની નિમણૂક નહિ કરાય તો તેઓ આગામી વર્ષના ૩૦ જાન્યુઆરીથી તેમના ગામમાં જ ભૂખ હડતાળ પર ઉતરી જશે. પીએમઓમાં રાજ્ય કક્ષાના મંત્રી જિતેન્દ્ર સિંહને મોકલેલા એક પત્રમાં હઝારેએ એનડીએ સરકાર પર આક્ષેપ કર્યો છે કે તે કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યોમાં લોકાયુક્તોની નિમણૂકથી બચવા માટે બહાના કાઢે છે.
હઝારેએ ઉમેર્યું હતું કે અગાઉ નરેન્દ્ર મોદીની સરકારે કહ્યું હતું કે લોકપાલની નિમણૂક ન થઇ શકે કેમ કે લોકસભામાં વિરોધ પક્ષનો નેતા નથી. એ પછી તે કહે છે કે પસંદગી સમિતિમાં કોઇ જાણીતા જ્યુરિસ્ટ ન હોવાથી તે શક્ય નથી.
ઉલ્લેખનીય છે કે હઝારેએ આ મામલે ૨૩ માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં ઉપવાસ પર ઉતર્યા હતા, પરંતુ પીએમઓએ તેમની માંગણી સ્વીકારી લેવાની લેખિતમાં ખાતરી આપતાં તેમણે ભૂખ હડતાલ પાછી ખેંચી હતી. એ પછી તેમણે બીજી ઓક્ટોબરથી ભૂખ હડતાળ પર જવાની જાહેરાત કરી હતી. પરંતુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓએ ફરી મને ખાતરી આપી કે લોકપાલ અને લોકાયુક્તની નિમણૂક અંતિમ તબકકામાં છે. એ પછી મેં તેમને વધુ એક તક આપવાનું નક્કી કર્યું હતું.