નવી દિલ્હી:વરસ ૨૦૨૧-૨૨નું બજેટ સારું-વિકાસલક્ષી આવ્યું એ વાત સાચી, પરંતુ બજાર આટલું બધું ગાંડાની જેમ વધે એ કેટલું સારું? કોરોનાકાળના મુશ્કેલ સમયમાં જયારે આર્થિક સંજોગો સાવ જ કથળી ગયા ત્યારે પણ વધતા રહેલા બજારના વહેણને જોઈ લોકોમાં વહેમ પણ ઊભા થતા રહ્યા છે, હાલ તો બજેટે આ વહેમ દૂર થાય એવા નવા કારણ આપી દીધા છે, તેમ છતાં એકધારી અને તેજધારી તેજીને જોઈ ઈન્વેસ્ટરોની મૂંઝવણની ઊંચાઈ પણ વધી જ રહી છે. હવે સવાલ એ છે કે બજારમાં તેજીની આટલી બધી ઈમ્યુનિટી આવે છે કયાંથી? હવે રોકાણકારોએ કરવું શું? સવાલ ટૂંકાગાળાના છે, જવાબ લાંબા ગાળાના છે. શેરબજારમાં રસ લેતા વર્ગ માટે હવે સવાલો બદલાતા જાય છે. શું લાગે છે બજાર? એવું પૂછવાને બદલે રોકાણકારો હવે આ બધું શું ચાલે છે બજારમાં ? આટલું બધું શા માટે વધે છે? આ તેજી સાચી કે કૃત્રિમ ગણવી ? દેશનો જીડીપી દર નેગેટિવ અને બજારનો ઈન્ડેકસ સતત પોઝિટિવ ચાલ્યા કરે-વધ્યા જ કરે, એ કયાં સુધી માણસના દિમાગમાં બેસી શકે? બજેટના દિવસે વિક્રમજનક ઉછળેલો સેન્સેકસ એક લેન્ડમાર્ક ઘટના હતી અને બજેટ સહિતના આ પાંચ દિવસોમાં તે ૪૪૦૦ પોઈન્ટ વધી ગયો છે. આ વરસના અંત સુધીમાં સેન્સેકસ ૫૫૦૦૦ થઈ જવાની આગાહી થઈ છે. ગયા ગુરુવારે તો બીએસઈના માર્કેટ કેપિટલાઈઝેશને પણ રૂ.૨૦૦ લાખ કરોડની સપાટી વટાવી નવો વિક્રમ સર્જી દીધો હતો.