અલ્પેશ કથિરીયાની ધરપકડ વખતે પૂણામાં બીઆરટીએસ બસ સળગી હતી
સુરત પોલીસે હવે પાટીદાર અનામત આંદોલન સમિતિ ( પાસ)ના જુના ગુનાઓના ચોપડા ખોલવાના શરૂ કર્યા છે. બુધવારે સાંજે જુના ગુનામાં પાસના કન્વીનર સહીત 6 કાર્યકરની ધરપકડને કારણે વરાછા વિસ્તારમાં પાટીદારોના ટોળા ઉમટવાના શરૂ થયા છે.પાસના કાર્યકરોને સરથાણા, પૂણા અને વરાછા પોલીસે રાયોટીંગ, પોષ્ટર ફાડવાના અને બીઆરટીએસ બસ સળગાવવાના ગુનામાં ધરપકડ કરી છે.
જાણવા મળેલી માહિતી મુજબ બુધવારે સાંજે સરથાણા પોલીસે પાસના ક્ન્વીનર ધાર્મિક માલવિયા, યોગેશ કુંભાણી, આકાશ વાટલિયા,મૌલિક નસીત,મહેન્દ્ર બાલધા અને તુષાર કાછડીયાની ધરપકડ કરવામાં આવી છે. અલ્પેશ કથિરીયાની ધરપકડ વખતે વરાછા વિસ્તારમાં રેલી કાઢતી વખતે તોડફોડ, પૂણા વિસ્તારમાં બીઆરટીએસ બસ સળગાવવાની ઘટના અને પોષ્ટર ફાડવા જેવા ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. તમામને તે પછી પૂણા પોલીસ અને વરાછા પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.