સીધી. મધ્ય પ્રદેશના સીધીની નજીક એક ભીષણ દુર્ઘટનાબની છે. સીધીથી સતના જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ અનિયંત્રિત થઈને બાણસાગર નહેરમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 42 મુસાફરોનાં મોત થયા છે. 7 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે.બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહે સરકાર તરફથી વળતરની જાહેરાત કરી છે. દરેક મૃતકના પરિવારને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. સીધી બસ દુર્ઘટના બાદ મધ્ય પ્રદેશમાં આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ યોજાનારા ગૃહપ્રવેશ કાર્યક્રમને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મધ્ય પ્રદેશને ભેટ મળવાની હતી. મંગળવારે (16 ફેબ્રુઆરી) વસંત પંચમીના પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે એક મોટો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.દુર્ઘટના બાદ બાણસાગર ડેમથી છોડવામાં આવતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે જેનાથી બસને પાણીના તેજ વહેણમાંથી તણાઇ જતાં રોકી શકાય. ક્રેનની મદદથી પહેલા બસને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.