દેશમાં કોરોના સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. લોકો હોસ્પિટલમાં ભરતી થવાથી લઈને ઈન્જેક્શન માટે રઝળપાટ કરી રહ્યા છે. આ દોડધામ વચ્ચે અનેક જીવ ગુમાવી રહ્યા છે. આ સ્થિતિ કેટલી ભયાનક હશે, તેનો અંદાજ નિષ્ણાતોને પણ નથી. આવા અનેક મુદ્દે દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડૉ. પ્રો. રણદીપ ગુલેરિયા સાથેની વાતચીતના અંશ… પ્રશ્નઃ દેશમાં સંક્રમણનો ફેલાવો ક્યારે ઓછો થશે?અત્યારે સ્થિતિ ઘણી ગંભીર છે. આગામી ત્રણ સપ્તાહ સુધી આવી સ્થિતિ રહેશે. સુધારો થશે કે સ્થિતિ વધુ બગડશે તેનો આધાર આપણા વ્યવહાર પર નિર્ભર છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાશે તો ત્રણ જ અઠવાડિયામાં સંક્રમણનો પ્રકોપ ઓછો થઈ જશે.પ્રશ્નઃ કોરોના પિક ક્યારે આવશે?સંક્રમણની બીજી લહેર પશ્ચિમથી મધ્ય ભારત પહોંચી. પછી ઉત્તર ભારતને લપેટમાં લીધું. હવે પૂર્વોત્તર રાજ્યોમાં સંક્રમણની ગતિ વધવાની આશંકા છે. મહારાષ્ટ્રમાં પિક આવી ચૂક્યો છે. દિલ્હીમાં હવે આવશે. થોડા દિવસમાં દેશના બીજા હિસ્સામાં પણ દર્દીઓની સંખ્યા ઘટવાની શરૂ થશે, જેવું મહારાષ્ટ્રમાં થયું છે.પ્રશ્નઃ દર્દીઓ બેડ, ઈન્જેક્શન અને ઓક્સિજન માટે રઝળપાટ કરી રહ્યા છે. આવી સ્થિતિ કેમ સર્જાઈ? તેના બે-ત્રણ કારણ છે. યુકે વેરિયેન્ટ આવ્યા પછી દેશમાં ઝડપથી કેસ વધ્યા. પહેલા સામાન્ય વેરિયેન્ટ હતો ત્યારે એક દર્દી ત્રણ-ચારને સંક્રમિત કરતો, પરંતુ હવે એક વ્યક્તિ દસને સંક્રમિત કરે છે. તેનાથી દર્દીઓની સંખ્યા અચાનક ઘણી વધી ગઈ, જેના કારણે આરોગ્યના સંસાધનો ઓછા પડી ગયા.પ્રશ્નઃ શું સરકારને તેનો અંદાજ ન હતો? પહેલી લહેરથી જે અનુભવ મળ્યો હતો, તેનાથી ક્યારેય એવું ના લાગ્યું કે કેસ આટલી ઝડપથી વધશે. એટલે તૈયારીમાં ખામી રહી ગઈ.પ્રશ્નઃ રેમડેસિવિર ઈન્જેક્શન ખાસ ફાયદાકારક નથી, તો દર્દીઓના પરિવારજનો પર આ ઈન્જેક્શન લઈ આવવા દબાણ કેમ કરાય છે?ડૉક્ટરોએ સમજવું જોઈએ કે, તેમણે આ ભયાનક સ્થિતિનો ફાયદો ના ઉઠાવવો જોઈએ. આ દવા લો, પેલી દવા લઈ આવો- એવું કહેવું ખોટું છે. ડૉક્ટરોને વેબિનાર કરીને ફરી સમજાવવા પડશે કે, જે તે દવાનો ઉપયોગ કયા સંજોગોમાં કરવાનો છે અને ક્યારે નથી કરવાનો. સ્ટેરોઈડ અને રેમડેસિવિર ખોટા સમયે અપાય છે, જે અયોગ્ય છે. કેટલાક લોકો જાતે જ ઓક્સિજનનો ઉપયોગ કરી રહ્યા છે. ઓક્સિજનનું સ્તર 96 હોવા છતાં લેવો ખોટું છે. તેનાથી નુકસાન થાય છે.