સુરતની આયુષ હોસ્પિટલના આઇસીયુમાં લાગેલી આગ બાદ અફરાતફરીના CCTV સામે આવ્યા, શિફ્ટ કરાયેલા 5 દર્દીના મોત થયા હતા

0
212
આગ બાદ ધુમાડો વધી ગયો હતો.
આગ બાદ ધુમાડો વધી ગયો હતો.

સુરતમાં લાલ દરવાજા ખાતે પરમ ડોક્ટર હાઉસના બંધિયાર બિલ્ડિંગમાં 5મા માળે આવેલી આયુષ હોસ્પિટલના આઇસીયુમાં રવિવારે મધરાતે ઓવરલોડિંગના કારણે એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. આઇસીયુમાં ઓક્સિજન અને વેન્ટિલેટર પર સારવાર લઇ રહેલા 18 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ આખી ભયાવહ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. કરુણાંતિકા એ હતી કે ક્રિટિકલ દર્દીઓના વેન્ટિલેટર હટાવીને 5માં માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી લાવ્યા બાદ 9 જેટલી એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર, સંજીવની અને સીમ્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં હજુ દર્દીઓને દાખલ કરવામાં આવે તે પહેલા જ તેમના મૃત્યુ થઇ ગયા હતા. કુલ પાંચ દર્દીનાં મૃત્યુ થયા હતા જેમાંથી એક દર્દી આયુષ હોસ્પિટલમાં જ મૃત્યુ પામ્યા હતા. ફાયર અધિકારીના કહેવા મુજબ આગ સામાન્ય હતી, જેને ઓલવવા પાણીનો પણ ઉપયોગ કરાયો નથી માત્ર એસ્ટિંગ્યૂશરથી જ આગ પર 10 મિનિટમાં કાબુ મેળવી લેવાયો હતો, પરંતુ ધુમાડો આઇસીયુમાં ફેલાઇ જતા દર્દીઓને શિફ્ટ કરવાની ફરજ પડી હતી.આયુષ હોસ્પિટલમાં આગ લાગવાના પ્રકરણમાં 5 દર્દીના મોત નીપજ્યા હતા. હજી સુધી મહીધરપુરા પોલીસે જાણવા જોગ નોંધ કરી છે. ઇન્સ્પેક્ટર આર.કે.ધુલિયાએ જણાવ્યું હતું કે, મોત આગ લાગવાના કારણે થયું હોય એવું કહેવુ મુશ્કેલ છે. તેથી મૃતકોના પીએમ નહીં થાય. જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરાઈ છે. ફાયરે જણાવ્યું કે, હોસ્પિટલમાં ફાયર સેફટીની સિસ્ટમ કાર્યરત હતી. પરંતુ અગાઉ 4 નોટિસ ફાયરે ફટકાર્યા બાદ હોસ્પિટલે સેફ્ટી લગાડી હતી.મૃતક અરવિંદભાઈ શિંગાળાના સંબંધીઓએ કહ્યું કે, અમે આ આગમાં સ્વજન ગૂમાવ્યાં છે. આ દુર્ઘટના પહેલી નથી પરંતુ કોઈ બોધપાઠ લીધા વગર ઠેર-ઠેર આવી આગ લાગે છે. જવાબદારો સામે કાર્યવાહી થવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here