રાજ્યમાં કોરોનાના બીજી વેવએ લોકોને હચમચાવી નાખ્યા છે. સતત નવા દર્દીઓની સંખ્યામાં વધારો તેમજ કોરોના બાદ લાગતી અન્ય બીમારીઓથી પીડાતા દર્દીઓ પણ વધી રહ્યા છે. ત્યારે હાલમાં ગુજરાત કોરોના બાદ સૌથી મોટી સમસ્યા મ્યુકરમાઈકોસિસની છે. દૈનિક નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આજે રાજસ્થાને હજી 200 કેસમાં જ મ્યુકરમાઈકોસિસ રોગને મહામારી હેઠળ સામેલ કર્યો છે, તો ગુજરાત સરકાર ક્યારે કરશે એવી લોકોમાં ઉગ્ર ચર્ચા ચાલી રહી છે.રાજસ્થાનમાં મ્યુકરમાઈકોસિસના કેસ ધીરે-ધીરે વધી રહ્યા છે, જેને જોવા ત્યાંની સરકારે સુરક્ષાના ભાગરૂપે મ્યુકરમાઈકોસિસ રોગને મહામારી હેઠળ સામેલ કર્યો છે. જોકે ગુજરાતની વાત કરીએ તો અહીં 4 મોટાં શહેરોની સિવિલમાં જ અંદાજે 1200થી વધુ મ્યુકરમાઈકોસિસ કેસ છે તેમજ દૈનિક 20થી 25 લોકોની સર્જરી કરી કેટલાક ભાગ કાઢી નાખવામાં આવે છે. તેમ છતાં હજુ સરકારે આ રોગને લઈને કોઈ યોગ્ય નિર્ણય લીધો નથી. બીજી તરફ, લોકોમાં એવી પણ ચર્ચા છે કે મ્યુકરમાઈકોસિસના દર્દીઓ સતત વધી રહ્યા છે તો સરકાર આ રોગને મહામારી હેઠળ ક્યારે ગણશે. અમદાવાદની અસારવા સિવિલમાં અંદાજે 500ની આસપાસ કેસ છે. સિવિલના ઈએનટી બિલ્ડિંગમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે 8 વોર્ડ તૈયાર કરાયા છે, જેમાંથી 6 વોર્ડમાં પ્રી ઓપેરિટિવ, જ્યારે બે પોસ્ટ ઓપેરિટિવ વોર્ડ છે, સાથે જ દર્દીઓની સર્જરી માટે 5 ઓપરેશન થિયેટર વોર્ડ પણ છે. બીજી તરફ, ડેન્ટલ હોસ્પિટલમાં 70થી વધુ, જ્યારે 1200 બેડમાં 30ની આસપાસ દર્દીઓ દાખલ છે. દરરોજ 15થી વધુ દર્દીઓ મ્યુકરમાઈકોસિસના રોગથી મુક્ત થતાં તેમને રજા અપાઈ છે.છેલ્લા દશેક દિવસમાં જ અંદાજે મ્યુકરમાઈકોસિસના 125ની આસપાસના દર્દીઓની સર્જરી કરવામાં આવી છે, સાથે જ સદનસીબે આ રોગથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા હાલમાં ખૂબ જ ઓછી છે, પરંતુ નવા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1100 કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 500, રાજકોટમાં 400 તેમજ વડોદરામાં 260 તેમજ સુરતમાં 114ની આસપાસ દર્દીઓ મ્યુકરમાઈકોસિસની બીમારીથી પીડાઈ રહ્યા છે.