દેશમાં ઘણા દિવસો બાદ સંક્રમિત થનારા લોકોની તુલનામાં કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા વધી
દેશમાં કોરોના સંક્રમણ ની ઝડપ થોડી ઘટી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેની સાથે જ મોતના આંકડામાં પણ ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં દેશમાં સંક્રમિત થયેલા લોકોની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી છે. એક દિવસમાં 3.56 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે 3.26 લાખ નવા કેસ નોંધાયા છે. કોરોના સંક્રમિતોનો આંક બે સપ્તાહ બાદ ઘટ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા મંગળવાર 11 મેના રોજ જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં દેશમાં 3,29,942 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 3,876 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,29,92,517 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 17,27,10,066 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. 1 કરોડ 90 લાખ 27 હજાર 304 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,56,082 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 37,15,221 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 2,49,992 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 10 મે સુધીમાં ભારતમાં કુલ 30,56,00,187 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે સોમવારના 24 કલાકમાં 18,50,110 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં એક દિવસમાં 11,592 કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 14,9315 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. દરમિયાન 24 કલાકમાં 117 દર્દીઓનાં મૃત્યુ નોંધાયા છે.