દેશ હાલ લાઈનમાં જ જોવા મળી રહ્યો છે. દેશનો ચહેરો ડરેલો-થાકેલો પણ જોવા મળી રહ્યો છે. જે બીમારીનો કોઈ જ ઈલાજ હજુ સુધી મળ્યો નથી એ કોરોનાએ દેશમાં આવી સ્થિતિ ઊભી કરી દીધી છે. શરદી, તાવ અને ઉધરસ આવી તો ટેસ્ટ માટેની લાઈન. જો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો હોસ્પિટલની બહાર લાઈનમાં ઊભા રહેવાનું. જો કોઈપણ રીતે બેડ મળી ગયું તો ઓક્સિજન મેળવવા માટે લાઈન. તબિયત બગડી તો રેમડેસિવિર માટે લાઈન અને વધુ બગડી તો વેન્ટિલેટર માટે પણ લાઈન. અંતે જો જીવ ન બચ્યો તો અંતિમસંસ્કાર માટે સ્મશાનઘાટમાં પણ લાઇન. આ દૃશ્યો કોઈ એક રાજ્ય, શહેર કે હોસ્પિટલના નહીં, પરંતુ દરેક જગ્યાએ જોવા મળે છે, જ્યાં લોકો આ પ્રકારની મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, બિહાર, મહારાષ્ટ્ર, દિલ્હી હોય કે કોઈ નાના-મોટા રાજ્ય, દરેક જગ્યાએ જીવતા અને મૃત લોકોનું એક જ કામ છે અને એ છે કતાર, માત્ર ને માત્ર લઈનમાં ઊભા રહેવું.ફોટો લખનઉના લોહિયા હોસ્પિટલનો છે, જ્યાં લોકો પોતાનો ટેસ્ટ કરાવવા આવ્યા છે. આ દૃશ્યો કોરોનાની લડાઈ સામે પ્રાથમિક તબક્કાનાં છે. અહીં જો ફેલ થયા તો પરેશાનીની લાંબો સિલસિલો શરૂ થઈ જાય છે. દેશમાં અત્યારસુધીમાં લગભગ સાડા 14 કરોડ ટેસ્ટિંગ થઈ ગયા છે. આ સંખ્યા મહારાષ્ટ્રની સમગ્ર વસતિથી પણ બે કરોડ વધુ છે.ગુજરાતના અમદાવાદમાં સોમવારે એક હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈન જોવા મળી, જેમાં કોરોનાના દર્દી એડમિટ થવાની રાહ જોઈ રહ્યા છે. હોસ્પિટલની અંદરથી બોલાવવામાં આવે તો આ દર્દીને જગ્યા મળે. અનેક શહેરોમાં સ્થિતિ એવી છે કે દર્દીઓને તેમના ઘરના સભ્યો એમ્બ્યુલન્સમાં લઈને ફરી રહ્યા છે, પરંતુ હોસ્પિટલમાં જગ્યા જ નથી.દિલ્હીની હોસ્પિટલમાં ઓક્સિજન નથી. સરકાર લાચાર જોવા મળે છે. આ મુુદ્દે કોર્ટ ઝાટકણી કાઢી રહી છે, તેમ છતાં દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા નથી થતી. દર્દીના પરિવારના લોકો ખાલી સિલિન્ડર લઈને રિફિલ સેન્ટરની બહાર લાઈન લગાવીને ઊભા રહે છે. પ્રાણવાયુની રાહ જોવામાં અનેક વખત દર્દીઓના શ્વાસ તૂટી જાય છે.આ પ્રકારની તસવીર જણાવે છે કે આ મહામારી કાળરૂપે કેવી તબાહી મચાવી રહ્યું છે. સ્મશાનઘાટમાં એકસાથે અનેક ચિતાઓ સળગે છે. અનેક જગ્યાએ તો અંતિમવિધિ માટે પણ ટોકન વહેંચાઈ રહ્યાં છે. અહીં કામ કરતા લોકો થાકીને ચૂરચૂર થઈ ગયા છે, પરંતુ મૃતદેહ આવવાનો સિલસિલો અટકી જ નથી રહ્યો. કલાકો સુધી રાહ જોયા બાદ મૃત્યુ પામનારને અંતિમસંસ્કાર નસીબ થાય છે.