નર્મદાઃ કેવડિયા ખાતે પીએમ મોદી આવતી કાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. આજે પીએમ મોદીનું રાત્રે 9:30 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. એરપોર્ટથી પીએમ મોદી ગાંધીનગરમાં આવેલા રાજભવનમાં જશે. રાજભવનમાં પીએમ મોદી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપનાં નેતાઓ સાથે બેઠક કરી શકે છે.
પીએમ મોદી આજે રાત્રી રોકાણ રાજભવનમાં કરશે. આ દરમ્યાન પીએમ મોદી પોતાનાં ભાઈ પંકજભાઈનાં નિવાસ સ્થાને માતા હીરાબાનાં ખબર અંતર પૂછવા જાય તેવી શક્યતા છે. આવતી કાલે પીએમ મોદી સવારે રાજભવનથી સચિવાલય હેલિપેડ પર પહોંચશે. સવારે 8 વાગ્યાની આસપાસ પીએમ મોદી હેલિકોપ્ટરમાં કેવડિયા જવા માટે નિકળશે.
9 વાગ્યાની આસપાસ પીએમ મોદી કેવડિયા હેલિપેડ પર પહોંચશે. કેવડિયામાં સૌ પ્રથમ પીએમ મોદી વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લેશે. વેલી ઓફ ફ્લાવરમાં પીએમ મોદી 20 મિનિટ સુધી રોકાણ કરશે. ત્યાર બાદ પીએમ મોદી ટેન્ટ સિટીમાં પણ લગભગ 20 મિનિટ વિતાવશે. ટેન્ટ સિટી બાદ પીએમ મોદી મુખ્ય સમારોહ સ્થળ પર પહોંચશે.
મુખ્ય સ્મારોહ સ્થળ પર પીએમ મોદી 2 કલાકનો સ્ટેજ પ્રોગ્રામ કરશે. પ્રોગ્રામ બાદ પીએમ મોદી સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમાનું લોકાર્પણ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ બાદ પીએમ મોદી કેવડિયા હેલિપેડથી વડોદરા એરપોર્ટ પર પહોંચશે. ત્યાર બાદ વડોદરા એરપોર્ટથી પીએમ મોદી દિલ્હી જવા માટે રવાના થશે.