નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાને ભારે મોટી રાહત આપી છે. કોર્ટના કહેવા પ્રમાણે સરકારી અભિપ્રાયોથી અલગ અને વિરૂદ્ધ અભિપ્રાય ધરાવતા વિચારોની અભિવ્યક્તિને દેશદ્રોહ ન કહી શકાય. હકીકતે, ફારૂક અબ્દુલ્લાના કલમ 370 મામલે આપવામાં આવેલા નિવેદનના વિરોધમાં અરજી નોંધાવવામાં આવી હતી. આ અરજીમાં ફારૂક અબ્દુલ્લાના નિવેદનને ધ્યાનમાં લઈ તેમના વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવા માંગણી કરવામાં આવી હતી. ઉપરાંત તેમની સંસદીય સદસ્યતા રદ્દ કરવા પણ માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે ફારૂક અબ્દુલ્લા વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સાથે જ અરજીકર્તા રજત શર્માને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. અરજીકર્તાના આરોપ પ્રમાણે ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કરવા ચીનથી મદદ લેવાની વાત કરી હતી. નેશનલ કોન્ફરન્સ દ્વારા આ આરોપોને નકારી દેવામાં આવ્યા હતા. પાર્ટીએ કહ્યું હતું કે, ‘અબ્દુલ્લાએ કદી અમે ચીન સાથે હાથ મિલાવીને કલમ 370 ફરી અમલમાં લાવીશું તેમ નથી કહેલું. તેમના નિવેદનને ખોટી રીતે મારી-મચડીને રજૂ કરવામાં આવ્યું છે.’