રાજ્ય સરકારે તમામ સરકારી કર્મચારીઓ કોરોના સંક્રમિત થાય તો 10 દિવસની સવેતન રજા આપવાની જાહેરાત કરી હતી. જો કોઈ કર્મચારી પાસે જમા રજા નહીં હોય તો પણ તેમને અલગથી આ રજા મળશે. ગુજરાતમાં બુધવારે કોરોનાના 2,360 નવા કેસ નોંધાયા હતા. જે રાજ્યમાં મહામારીના આગમન પછી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 3,07,698 થઈ છે. બુધવારે 2,004 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે 9 દર્દીના મોત થયા હતા. રાજ્યમાં કોરોનાનો મરણાંક વધીને 4,519 થયો છે. અમદાવાદ અને સુરતમાં 3-3 દર્દીના મોત થયા હતા જ્યારે ખેડા, મહિસાગર અને વડોદરામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું હતું. સુરતમાં 744 કેસ સાથે એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 620, વડોદરામાં 341 અને રાજકોટમાં 208 કેસ નોંધાયા હતા.