ધારવાડ (કર્ણાટક): અહીં શહેરની ભાગોળે ઇટીગટ્ટી નજીક શુક્રવારે માર્ગ અકસ્માત થયો હતો જેમાં ૯ મહિલા સહિત કુલ ૧૧ જણાના મૃત્યુ થયા હતા. ધારવાડ (ગ્રામ્ય)ના પોલીસ સુપરિન્ટેડન્ટ પી. કૃષ્ણકાન્તે સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે મૃત પામેલાઓમાંના મોટા ભાગના લોકો દેવણાગેરે નગરના રહેવાસીઓ હતા અને ગોવા જઈ રહ્યા હતા. તેઓ જેમાં પ્રવાસ કરી રહ્યા હતા એ મિનિ બસ સામેથી આવી રહેલી પથ્થર લઈ જવા માટેની મોટી ટ્રક સાથે અથડાઈ હતી. મૃતકોમાં બસના ડ્રાઇવરનો પણ સમાવેશ હતો. ઈજા પામેલા ત્રણ જણા ગંભીર હાલતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના સંબંધમાં ઘેરો શોક વ્યક્ત કરતા ટ્વીટમાં લખ્યું હતું કે ‘કર્ણાટકના રોડ અકસ્માતમાં પ્રવાસીઓના જાન ગયા એ ઘટનાથી મને ખૂબ આઘાત લાગ્યો છે. મૃતકોના પરિવારજનોને હું હૃદયપૂર્વક દિલાસો આપું છું અને ઘાયલ લોકો ત્વરિત સાજા થઈ જાય એવી ઈશ્ર્વરને પ્રાર્થના કરું છું.’