અમદાવાદ : જો તમે તમારા બાળકને શાળાએ મોકલવાની સાથે ટ્યૂશન ક્લાસમાં પણ મોકલતા હોવ તો તમારે બાળકને ટ્યૂશન ક્લાસમાં મોકલવાનું પણ સંમતિપત્ર આપવું પડશે. સરકાર દ્વારા 1 ફેબ્રુઆરીથી શાળાઓમાં ધોરણ 9 અને 11ના વર્ગો શરુ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ ટ્યૂશન ક્લાસના સંચાલકોને પણ SOPના પાલન સાથે કલાસીસ શરૂ કરવા છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે નિયમોના પાલન માટે કલાસીસ સંચાલકોએ પણ વાલીઓ પાસે સંમતિપત્ર માંગવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવતા પહેલા ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરાયા હતા. ત્યારબાદ હવે ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં કરાયો છે. સાથે છેલ્લા 10 મહિનાથી ટ્યૂશન કલાસીસ બંધ હોવાને કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા ટ્યૂશન કલાસ સંચાલકો માટે પણ છૂટછાટ આપવામાં આવી છે. જેમાં તેઓએ શાળાઓની માફક માર્ગદર્શિકા અને કોવિડના નિયમોનું પાલન કરવું પડશે.ટ્યૂશન કલાસ ચલાવતા સંચાલક વિજયભાઈએ જણાવ્યું કે શાળાની માફક સેનિટાઈઝરથી માંડીને થર્મલ ગન અને કલાસીસ સોશિયલ ડિસ્ટન્સનું તો પાલન કરવાનું જ છે સાથે વાલીઓ પાસે બાળકને ક્લાસમાં મોકલવા માટેનું સંમતિપત્ર પણ લેવું પડશે. જો વાલી સંમતિ પત્ર નહીં આપે તો તે બાળકને કલાસીસમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જોકે વાલીઓનું સંમતિપત્ર લેવા મામલે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેને લઈ વાલીઓ પાસે સંમતિપત્ર માંગવું કે નહીં તેની મૂંઝવણ હતી. તેમ છતાં નિયમોના પાલનને લઈ પોલીસ, કોર્પોરેશન કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાંથી કોઈપણ ચેકિંગમાં આવી શકે. અને તમામ નિયમો ઉપરાંત સંમતિપત્ર પણ બતાવવું પડશે. અગાઉ ફાયર સેફટીને લઈને તંત્રની હેરાનગતિનો સામનો કરી ચૂક્યા છીએ.