અમદાવાદ: કોરોના મહામારી સામેના જંગમાં આગામી 16 તારીખ અને શનિવારથી દેશભરમાં રસીકરણનું મહા અભિયાન હાથ ધરવામાં આવશે. હાલ દેશભરમાં આ અભિયાનની તૈયારીઓ પૂરજોરમાં ચાલી રહી છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશવ્યાપી રસીકરણ અભિયાન , જનઅભિયાનના ધોરણે હાથ ધરવામાં આવશે. રસીકરણ વખતે કોવિડ-19 અને આરોગ્ય સેવાના અગ્રિમ મોરચે લડી રહેલા દેશના ત્રણ કરોડ યોદ્ધાને અગ્રિમતા આપવામાં આવશે. તદુપરાંત 50થી વધુ વર્ષની ઉંમર ધરાવતા અને અન્ય બિમારીઓથી પીડાઇ રહેલા લોકોને અગ્રિમતા આપવામાં આવશે. સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી અનુસાર આવા લોકોની સંખ્યા લગભગ 27 કરોડ જેટલી છે. આરોગ્ય વિભાગ દ્વારા જાણવામાં આવ્યું છે કે, પ્રથમ ચરણમાં કોવીશિલ્ડ અને કોવેક્સિન રસીના 1.65 કરોડ ડોઝની તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના આરોગ્ય સેવકોની સરેરાશ મુજબ ફાળવણી કરવામાં આવી છે. તેથી વેક્સિન ફાળવણીને મુદ્દે કોઇ રાજ્ય સાથે ભેદભાવ થયાનો કોઇ સવાલ જ નથી. આરોગ્ય મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, વેક્સિન ડોઝનો આ આરંભિક પુરવઠો છે. આવનારા સપ્તાહમાં તેનો સતત પુરવઠો રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને મળતો રહેશે. હાલમાં આવેલો પુરવઠો ઓછો હોવાની આશંકા નિરાધાર છે. તમામ રસીકરણ કેન્દ્ર ખાતે પ્રતિદિન 100 લોકોને રસીકરણ માટે બોલાવવા સલાહ આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, માત્ર પહેલેથી નોંધણી કરાવી ચુકેલા લાભાર્થીઓને નિર્ધારિત કાર્યક્રમ મુજબ રસી આપવામાં આવશે. સાથે જ રસીકરણ કેન્દ્ર ખાતે ફોટો ઓળખપત્ર બતાવવું અનિવાર્ય રહેશે.