જાંબુઘોડાથી રાજયવ્યાપી શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો પ્રારંભ

0
1106

જાંબુઘોડા-પંચમહાલ

જાંબુઘોડાથી રાજયવ્યાપી શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો

મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો પ્રારંભ

.. .. .. .. .. ..

ભાર વિનાના ભણતરના અભિગમથી જ્ઞાનકુંજ પ્રોજેકટ અન્વયે વર્ચ્યુઅલ કલાસીસ-પ્રોજેકટર લેપટોપથી બાળશિક્ષણની નેમ વ્યકત કરતા શ્રી વિજયભાઇ રૂપાણી

: મુખ્યમંત્રીશ્રી :

  • સ્વસ્થ બાળ-સ્વસ્થ ગુજરાત અને તંદુરસ્ત ગુજરાતના નિર્માણ માટે રાજય સરકારે બાળ આરોગ્યની ચિંતા કરી છે
  • ‘‘જયાં માનવી ત્યાં સુવિધા’’ના મંત્ર સાથે આ સરકાર છેવાડાના માનવીનું જીવનધોરણ ઉંચુ આવે તે માટે સામાજિક ઉત્તરદાયિત્વ સાથે કામ કરી રહી છે
  • બાળકોમાં નાનપણથી જ ગંભીર બિમારીના સારવાર-નિદાન માટે શાળા આરોગ્ય તપાસણીનું રાજ્યવ્યાપી અભિયાન ઉપાડયું છે
  • ગત વર્ષે ૧.૫૫ કરોડ બાળકોના આરોગ્યની તપાસ કરી ૯૯ ટકા સિધ્ધિ હાંસલ
  • પેસા એકટનો અમલ કરી વનવાસીઓને જંગલના અધિકારો આપ્યા છે

.. .. .. .. .. ..

  • પંચમહાલ જિલ્લામાં જનસુવિધા અને જનસુખાકારીના રૂા.૪૭૨ લાખના ૬ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ
  • માં કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજના હેઠળ લાભાર્થીઓને કાર્ડનું વિતરણ
  • મુખ્યમંત્રીશ્રીના હસ્તે મા અને મા-વાત્સલ્ય યોજના હેઠળ અપાયેલ સારવારના લાભાર્થીઓની સાફલ્યગાથા પુસ્તકનું વિમોચન

.. .. .. .. .. ..

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શાળાએ જતા બાળકોને ભાર વિનાનું ભણતરની સંકલ્પના સાકાર કરવા રાજ્યમાં જ્ઞાનકૂંજ પ્રોજેકટ અન્વયે વર્ચ્યુઅલ કલાસીસથી આવનારા દિવસોમાં બાળકને માત્ર એક લેપટોપમાં બધા જ પુસ્તકો-વિષયો સમાઇ જાય તેવી શિક્ષણ વ્યવસ્થા માટેની નેમ વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જ્ઞાનકૂંજ પ્રોજેકટનો રાજ્યવ્યાપી અમલ કરીને શાળાઓમાં પ્રોજેકટર અને લેપટોપથી શિક્ષણની દિશામાં સરકાર આગળ વધી રહી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પંચમહાલ જિલ્લામાં મધ્યપ્રદેશની સરહદે આવેલા જાંબુઘોડાથી રાજયવ્યાપી શાળા આરોગ્ય –રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો શુભારંભ કરાવતાં આ નેમ દર્શાવી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું સ્વસ્થ બાળ-સ્વસ્થ ગુજરાત અને તંદુરસ્ત ગુજરાતના નિર્માણ માટે રાજય સરકારે બાળ આરોગ્યની ચિંતા કરી નાનપણથી જ બાળકોને અસાધ્ય રોગોથી બચાવવા માટે શાળા આરોગ્ય રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ શરૂ કર્યો છે.

‘‘જયાં માનવી ત્યાં સુવિધા’’ના મંત્ર સાથે રાજય સરકાર સમાજના છેવાડાના માનવીનું જીવનધોરણ ઉંચુ આવે તે માટે સામાજિક ઉત્તરદાયિત્વ સાથે કામ કરી રહી છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જાંબુઘોડા કુમાર શાળા ખાતે તબીબની વેશભૂષામાં સજ્જ બાળ ર્ડાકટરો સાથે સંવાદ કરી બાળ આરોગ્ય ચકાસણી કાર્યક્રમનું નિરિક્ષણ કર્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ પંચમહાલ જિલ્લામાં જનસુવિધા અને જનસુખાકારીના રૂા.૪૭૨ લાખના છ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવા સાથે જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મા અને મા- વાત્સલ્ય કાર્ડ હેઠળ  સારવાર અપાયેલ લાભાર્થીઓની સાફલ્યગાથા પુસ્તકનું વિમોચન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ મા યોજના સહિત આયુષમાન ભારત યોજના હેઠળ લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ રાજયવ્યાપી શાળા આરોગ્ય અભિયાનમાં જોડાઇ તંદુરસ્ત બાળ-તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે આ સરકાર ગરીબો, પીડિતો, શોષિતો, ગામડાઓ, આદિવાસીઓ અને છેવાડાના માનવીના હિતોના રક્ષણ માટે કામ કરતી સંવેદનશીલ સરકાર છે.

રાજય સરકારે સમગ્ર દેશમાં સૌપ્રથમવાર પેસા એકટનો અમલ કરી ૯૦ હજાર આદિવાસીઓને જંગલના અધિકારો આપ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.

અંબાજી થી ઉમરગામ સુધી આદિવાસી વિસ્તારોમાં રૂા.૪૫ હજાર કરોડની વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિવાસીઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષના કામો હાથ ધરવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે આદિવાસી વિદ્યાર્થીઓ પણ ર્ડાકટર-એન્જીનીયર બને તે માટે આદિવાસી વિસ્તારોમાં એન્જીનીયરીંગ કોલજો તથા દાહોદમાં મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ મહિલાઓની સુરક્ષા, મહિલા સશકિતકરણ, પોલીસ ભરતીમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને ૫૦ ટકા પ્રતિનિધિત્વ,૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની સેવાઓ અંગેની વિશદ ભૂમિકા આપી હતી.

પંચમહાલ જિલ્લાની વિવિધ સંસ્થાઓ દ્વારા રૂા.૩.૫૨ લાખના ચેક મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિમાં મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે બાળકો ઇશ્વરનું સ્વરૂપ છે, ત્યારે રાજયમાં બાળ મૃત્યુનું પ્રમાણ ઘટાડવા સરકારે શાળા આરોગ્ય તપાસણીનું રાજયવ્યાપી અભિયાન ઉપાડયું છે. જેના પરિણામે હજારો બાળકોને નવજીવન મળ્યું છે.

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન હ્રદયરોગ, કેન્સર, કિડની, બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ, કોકલીયર ઇમ્પ્લાન્ટ જેવા ગંભીર રોગોથી પીડાતા બાળકોને સરકાર દ્વારા સુપરસ્પેશ્યાલીસ્ટ સારવાર આપવામાં આવી રહી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહયું કે આ કાર્યક્રમ હેઠળ ગત વર્ષે ૧.૫૫ કરોડ બાળકોના આરોગ્યની તપાસ કરીને ૯૯ ટકા સિધ્ધિ હાંસલ કરવામાં આવી છે. જેમાં ૧૯.૯૧ લાખ બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી તથા ૧.૮૪ લાખ બાળકોને સંદર્ભ સેવાનો લાભ અપાયો છે. ૯૯૨૧૦ બાળકોને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું કે ૨૨૯૩૨ બાળકોને હ્રદયરોગ, ૩૫૦૮ બાળકોને કિડનીરોગ, ૧૮૪૩ બાળકોને કેન્સર રોગ, ૬૨૬ કલેફટ લીપ પેલેટ, ૫૩૦ કલબફૂટની સારવાર અપાઇ હતી. જયારે ૨૫ બાળકોને કિડની પ્રત્યારોપણ, ૫૦૧ કોકલીયર ઇમ્પ્લાન્ટ તથા ૨૮ બાળકોના બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે રાજય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે.

કૃષિ રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે રાજય સરકારે સમાજના છેવાડાના માનવીને અસરકારક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે અભૂતપૂર્વ કામગીરી કરી છે. આઝાદી બાદ પ્રવર્તમાન સરકારના નેતૃત્વમાં પંચમહાલ જિલ્લા સહિત જાંબુઘોડા તાલુકાનો સર્વાંગીણ વિકાસ થયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર ર્ડા.ગૌરવ દહીયાએ જણાવ્યું કે શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ચાલુ વર્ષે રાજયમાં શાળાએ જતા અને શાળાએ નહીં જતા ૧.૫૯ કરોડ બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવશે. જેમાં ૧.૧૧ લાખથી વધુ સરકારી-ખાનગી સંસ્થાઓને આવરી લેવામાં આવશે. આ કામગીરી માટે રાજયમાં આર.બી.એસ.કે.ની ૯૯૨ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

પ્રારંભમાં કલેકટરશ્રી ઉદિત અગ્રવાલે સૌનો આવકાર કર્યો હતો. અંતમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહે આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, રામસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય શ્રીમતી સુમનબેન ચૌહાણ, પૂર્વ  ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી અશ્વિનભાઇ પટેલ, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં વનબંધુઓ ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here