નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષના પહેલા નવ મહિનામાં બૅન્કોનું ધિરાણ ૩.૨ ટકાના દરે વધીને રૂ. ૧૦૭.૦૫ લાખ કરોડની સપાટીએ રહ્યું હતું, જ્યારે ગત નાણાકીય વર્ષના સમાનગાળામાં વૃદ્ધિદર ૨.૭ ટકાના સ્તરે રહ્યો હતો. તાજેતરની રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની આંકડાકીય માહિતી અનુસાર ગત પહેલી એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં બૅન્કોની થાપણ અથવા તો ડિપોઝિટ ૮.૫ ટકાના દરે વધીને રૂ. ૧૪૭.૨૭ લાખ કરોડના સ્તરે રહી હતી, જ્યારે ગત નાણાકીય વર્ષના સમાનગાળામાં ડિપોઝિટનો વૃદ્ધિદર ૫.૧ ટકા રહ્યો હતો. આ સમય દરમિયાન ખાસ કરીને સલામતીને ધ્યાનમાં લેતાં બૅન્કોની થાપણ વૃદ્ધિમાં તિવ્ર વધારો જોવા મળ્યો છે. જોકે, જાન્યુઆરી ૨૦૨૧ના પહેલા પખવાડિયામાં ધિરાણ અને થાપણ વૃદ્ધિદર અનુક્રમે ૬.૭ ટકા અને ૧૧.૫ ટકાના સ્તરે રહ્યો હતો. કેર રેટિંગ્સે તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે બૅન્કોનો ધિરાણ વૃદ્ધિદર કોરોના મહામારી પૂર્વના સ્તરે પહોંચ્યો છે. નોંધનીય બાબત એ છે કે માર્ચ અને એપ્રિલ ૨૦૨૦ દરમિયાન સરેરાશ ધિરાણ વૃદ્ધિદર ૬.૫ ટકાના સ્તરે રહ્યો હતો. વધુમાં વર્તમાન જાન્યુઆરી મહિનાના પહેલા પખવાડિયામાં રિટેલ લોનમાં વધારો થવાને કારણે ડિસેમ્બરનાં બીજા પખવાડિયાની સરખામણીમાં ધિરાણ વધુ રહ્યું છે. જોકે, વર્ષાનુવર્ષ ધોરણે ધિરાણ વૃદ્ધિ ગત સાલના સમાનગાળાના ૭.૫ ટકા કરતા ઓછી રહી છે.