નેપાળી યુવકને 4 શખ્સે ચોર સમજી પતાવી દીધો

0
954

 રાજકોટ

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, લાલબહાદુર થાપા ચાર બહેનનો એકનો એક ભાઇ હતો. લાલબહાદુર પોતે પરિણિત હતો અને સંતાનમાં પાંચ વર્ષનો એક પુત્ર છે. તે સોમવારે સવારે જ નેપાળથી રાજકોટ આવ્યો હતો. અહિં આવીને એક હોટલના નેપાળી કર્મચારીને મળ્યો હતો જ્યારે તેની સાથે આવેલો બીજો યુવક કામ સબબ જામનગર ગયા પછી રાતે કણકોટ પાસે પહોંચેલા લાલબહાદુરની હત્યા થઇ હતી.

શહેરના મવડીથી કણકોટ ગામ જવાના રસ્તે મંગળવારે સવારે નેપાળી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નવી ચણાઇ રહેલી કન્ટ્રક્શન સાઇટ પર કામ કરતા ચોકીદાર સહિત ચાર શખસને સકંજામાં લઇ લીધા હતા. ચારેય શખસે મોડી રાતે શંકાસ્પદ હીલચાલ કરી રહેલા નેપાળી યુવકને ચોર સમજીને પડકાર્યો હતો, તેણે ગાળાગાળી કરીને એકને બચકું ભરી લેતા ઉશ્કેરાટમાં પાઇપ, લાકડી અને છરી જેવા હથિયારથી હુમલો કરી તેને પતાવી દીધો હતો અને હત્યા કર્યા પછી પોલીસને ગેરમાર્ગે દોરવા લાશને અક્ષર પરિસર ફ્લેટની સાઇડ નજીક રોડની બાજુમાં ફેંકી દીધો હતો. ભોગ બનનાર યુવક સોમવારે જ નોકરીની તલાસમાં નેપાળથી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા પાછળનું સાચુ કારણ જાણવા ચારેશ શખસની પૂછપરછ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ, હરદીસિંહ નામના એક નાગરીક મંગળવારે સવારે સાત વાગે મવડી સ્મશાનથી કણકોટ જવાના રસ્તેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અક્ષર પરીસર ફ્લેટ નજીક રસ્તાની બાજુમાં એક નેપાળી ઇજાગ્રસ્તને બેભાન હાલતમાં જોઇ ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ના સ્ટાફે યુવકને મૃત જાહેર કરી તાલુકા પોલીસને જાણ કરી હતી. મરનારના આખા શરીર ઉપર તિક્ષ્ણ હથિયાર અને બોથડ પદાર્થથી ઇજા કરાયાના નિશાન મળતા પ્રથમ દ્રષ્ટિએ જ બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું હતું. હત્યાના બનાવની જાથ થતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાંચના એસીપી જયદિપસિંહ સરવૈયા, પીઆઇ એચ.એમ.ગઢવી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતકની ઓળખ મેળવવા પ્રયાસ થયો હતો પરંતુ મોબાઇલ, લાયસન્સ જેવી ઓળખ મળે તેવી કોઇ વસ્તુ મળી ન હતી.

હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે આસપાસની કન્ટ્રક્શન સાઇટ પર મજૂરોની પૂછપરછ કરતા ગોલ રેસીડેન્સી નજીક મોડી રાતે એક યુવકને મજુરો સાથે ઝઘડો થયાની માહિતી મળતા શકમંદોને અટકાયતમાં લઇ લેવાયા હતા. શકમંદોની પૂછપરછમાં બહાર આવેલી વિગત મુજબ, મોડી રાતે નેપાળી યુવક શંકાસ્પદ હાલતમાં આંટાફેરા કરી રહ્યો હતો, તેને અહિંથી ચાલ્યા જવાનું કહેતા તેણે ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું અને ચોકીદારને બચકું ભરીને ભાગવાનો પ્રયાસ કરતા ચોર સમજીને પીછો કરી ઝડપી લીધો હતો. ઝપાઝપી થતાં પાઇપ,લાકડીથી હુમલો કર્યો હતો આવેશમાં વધુ માર મરાઇ જતાં તેણે દમ તોડી દીધો હતો. હત્યા જેવો ગંભીર ગુનો થઇ જતાં ડરી ગયેલા ચારેય શખસે મૃતદેહને ઉપાડીને દૂર ફેંકી દીધો હતો. હત્યાનો ભેદ તો ઉકેલાય ગયો હતો પરંતુ મૃતકની ઓળખ નહીં મળતા પોલીસે વિવિધ હોટલના નેપાળી કર્મચારીઓ અને નેપાળી સંગઠનોને બોલાવીને તપાસ કરતા મરનારનું નામ લાલબહાદુર થાપા (ઉ.વ.3૦) હોવાનું ખુલ્યું હતું. પોલીસે ખૂનનો ગુનો નોંધી વિશેષ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here