મુંબઈ: આધુનિક રંગભૂમિના પાયાના સ્થપતિ સમા પ્રખર રંગકર્મી અરવિંદ જોશીએ શુક્રવારે જીવનના રંગમંચ પરથી આખરી એક્ઝિટ લીધી હતી. ૮૪ વર્ષના અરવિંદભાઈ વયલક્ષી નાદુરસ્ત તબિયતને લીધે હૉસ્પિટલમાં હતા, જ્યાં ઊંઘમાં જ અંતિમ શ્ર્વાસ લીધા હતા. અભિનેતા ઉપરાંત દિગ્દર્શક, લેખક અને નિર્માતા તરીકે ખૂબ મહત્ત્વના યોગદાન માટે તેમને કાયમ યાદ રખાશે.વિલેપાર્લેની નાણાંવટી હૉસ્પિટલમાં સ્વર્ગવાસી થયેલા અરવિંદભાઈના નશ્ર્વર દેહને શુક્રવારે સવારે ૧૧.૪૫ કલાકે અગ્નિદાહ અપાયો હતો. સ્મશાનભૂમિમાં તેમના પત્ની ઉષાબહેન, પુત્ર શર્મન જોશી અને પુત્રી માનસી ઉપરાંત દિગ્દર્શક – અભિનેતા સુરેશ રાજડા, અભિનેતા અને વેવાઈ પ્રેમ ચોપરા, જમાઈ – અભિનેતા રોનિત રૉય, ફિલ્મ – લેખક અને સાઢુભાઈ ઈમ્તિયાઝ હુસૈન, નિર્માતા – અભિનેતા સંજય ગોરડિયા, દિગ્દર્શક વિપુલ મહેતા, અભિનેતા મનોજ જોશી, પ્રતાપ સચદેવ, નિર્માતા આશિષ ત્રિવેદી અને પ્રચારક દીપક સોમૈયા સહિતના ઉપસ્થિત હતા.અભિનેતા બાદ દિગ્દર્શક, લેખક અને નિર્માતા તરીકે પણ અનન્ય કૃતિઓ આપનારા નોંધપાત્ર અરવિંદભાઈના નાટકોમાં ‘રાહુકેતુ’, ‘લેડી લાલકુંવર’, ‘આશિર્વાદ’, ‘સુરજમુખી’, ‘મૃત્યુંજય’, ‘અંગતરંગત’, ‘મિનપિયાંસી’, ‘કદમ મિલાકે ચલો’, ‘શરત’, ‘માણસ નામે કારાગાર’, ‘કુમાર અસંભવ’, ‘ધુમ્મસ’, ‘ખેલંદો’, ‘મોસમ છલકે’, ‘સળગ્યા લાક્ષાગૃહ’, ‘તહોમત’, ‘એની સુગંધનો દરિયો’, ‘એક લાલની રાણી’ ‘કાંચનો ચંદ્ર’, ‘અંતરપટ’, ‘બરફના ચહેરા’, ‘લીલાહેર’ અને ‘બાણશય્યા’નો સમાવેશ થાય છે. ૮૦ થી ૧૦૦ નાટકો સાથે જોડાયેલા અરવિંદભાઈએ આઈ.એન.ટી.માં બેકસ્ટેજમાં કામગીરી બજાવવાથી શરૂઆત કરી હતી.
ગુજરાતી રંગભૂમિ ઉપરાંત તેમણે ‘વણઝારી વાવ’, ‘ઘેર ઘેર માટીના ચુલા’, ‘ફૂટપાથની રાણી’, ‘ઢોલામારું’, ‘ડાકુ રાણી ગંગા’ અને ‘રા’નવઘણ’ સહિતની ૫૦-૬૦ ગુજરાતી ફિલ્મોમાં પ્રભાવશાળી અભિનય કર્યો હતો. ૨૦૧૧માં પોતાની ફિલ્મ ‘જગત જોગણી માં ખોડિયાર’માં લકવો હોવા છતાં તેમણે અભિનય કર્યો હોવાનું ફિલ્મના દિગ્દર્શક કે. અમર સોલંકી ‘ડેની’એ જણાવ્યું હતું.‘શોલે’, ‘અપમાન કી આગ’, ‘ઈત્તેફાક’, ‘ઠીકાના’, ‘પ્યાર કા તોહફા’, ‘અબ તો આજા સાજના મોરે’, ‘લવ મેરેજ’, અને ‘નામ’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ અરવિંદભાઈએ નાની-મોટી ભૂમિકા ભજવી હતી. ગુજરાતની રંગભૂમિને અનન્ય ઊંચાઈએ લઈ જઈને ગૌરવ અપાવનારા વધુ એક રંગકર્મીની ચિરવિદાય સાથે એક સુવર્ણ પ્રકરણ પૂરું થયું, પણ તેઓ કાયમ પ્રેરણા આપતા રહેશે એવું રંગભૂમિના કલાકાર – કસબીઓ અને કદરદાન પ્રેક્ષકો સજળ નયને સ્વીકારે છે.