મુંબઇઃ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી રણજી ટ્રોફી-2018-19માં ગુજરાતે મુંબઇને 9 વિકેટે પરાસ્ત કર્યું છે. ગુજરાતને પ્રથમ ઇનિંગમાં 16 રનની ખાધ મળી હોવાછતાં મુંબઇને હરાવ્યું છે.
ગુજરાત તરફથી પ્રિયાંક પંચાલે કેપ્ટન ઈનિંગ રમીને નોટ આઉટ 112 રન ફટકારી વિજયનો પાયો નાંખ્યો હતો. જ્યારે કથન પટેલે પણ 55 રન ફટકારી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગુજરાતે મુંબઈને પાંચ વિકેટે હરાવી પ્રથમ વખત રણજી ટ્રોફીનું ટાઇટલ જીતી ઈતિહાસ સર્જ્યો હતો.
પાર્થિવના સ્થાને રમી રહેલા વિકેટ કિપર ધ્રુવ રાવલે 99 રન ફટકારી ગુજરાતને બચાવ્યું
28 નવેમ્બરના રોજ શરૂ થયેલી મુંબઇ અને ગુજરાત વચ્ચેની મેચમાં ગુજરાતે ટોસ જીતીને ફીલ્ડીંગ પસંદ કરી હતી. ત્યાર બાદ મુંબઇ પહેલી ઇનિંગમાં શિવમ દુબેના 110 રનના સહારે 297 રનમાં ઓલ આઉટ થયું હતું. ત્યાર બાદ દાવમાં ઉતરેલી ગુજરાતની ટીમ એક સમયે 154 રનમાં અડધી ટીમ તંબુ ભેગી થઇ ગઈ હતી. આ સમયે પાર્થિવ પટેલના સ્થાને રમી રહેલો વિકેટ કિપર ધ્રુવ રાવલ ગુજરાતની વ્હારે આવી 99 રન ફટકાર્યા હતા. જોકે કમનસીબે તે નર્વસ નાઈન્ટીઝનો ભોગ બન્યો હતો. પરંતુ ધ્રુવની શાનદાર ઇનિંગના પગલે ગુજરાત મુંબઇથી માત્ર 16 રન પાછળ રહ્યું હતું અને 281માં ઓલ આઉટ થયું હતું.