નવું જોખમ: આ તમામ બ્રિટનથી તાજેતરમાં જ આવ્યા હતા
મુંબઇ: બ્રિટનથી છેલ્લાં એક મહિનામાં પાછા મુંબઇ ફરનારા ૨,૨૦૦ પ્રવાસી પૈકી ૧૧ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું મુંબઇ મહાનગરપાલિકાના અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.
આ ૧૧ લોકોમાંથી છ લોકો ગયા સપ્તાહે બ્રિટેનનો પ્રવાસ કરીને મુંબઇ પહોંચ્યા હતાં અને બાકીના પાંચ ૨૨ ડિસેમ્બર પહેલા પાછા ફર્યા હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીએ જણાવ્યું હતું. બ્રિટનમાં કોરોનાના સ્ટ્રેનને પગલે ત્યાંથી મુંબઇ આવનારા તમામ પ્રવાસીઓને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. ૧૧ કોરોના પોઝિટીવ પ્રવાસીના સ્વૅબ સેમ્પલને વધુ અભ્યાસ માટે પુણેની એનઆઇવી (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી) ખાતે મોકલવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગયા અઠવાડિયે લંડનથી મુંબઇ આવેલા કુલ ૫૯૦ પ્રવાસીમાંથી ૧૮૭ લોકોને વિવિધ હૉટલોમાં ઇન્સ્ટિટ્યૂશનલ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. ૨૫ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર દરમિયાન બ્રિટનથી આવેલા ૨,૦૦૦ કરતાં વધુ પ્રવાસીની યાદી રાજ્ય સરકારે મુંબઇ પાલિકાને સોંપી હતી. જોકે, બધા જ પ્રવાસીઓ સાથે સંપર્ક થયો નથી. અમારી ટીમ બધા જ પ્રવાસીને ટ્રેસ કરવાની કોશિશ કરી રહી છે. પાલિકા દ્વારા બ્રિટનથી પરત આવેલા લોકોના ઘરે જઇને સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે તે દરમિયાન ૨૨ ડિસેમ્બર પહેલા મુંબઇ આવેલા છ પ્રવાસીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, એવું પાલિકાના આરોગ્ય ખાતાના અધિકારી ડૉ. મંગલા ગોમારેએ સોમવારે જણાવ્યું હતું.
બ્રિટનમાં અત્યારસુધીમાં કોરોના વાઈરસના વધુ ખતરનાક બે વેરિયન્ટ મળી ચૂક્યા છે. પ્રથમ વેરિયન્ટ મળ્યા પછી ભારત સરકારે 21 ડિસેમ્બરે બ્રિટનમાંથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ 22 ડિસેમ્બર રાતે 11.59 વાગ્યાથી 31 ડિસેમ્બર રાતે 11.59 વાગ્યા સુધી લગાવવામાં આવ્યો છે. જે લોકો આ પહેલાં ફ્લાઈટ્સથી ભારત પહોંચ્યા તેમનો એરપોર્ટ પર જ RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.
વાઈરસનું નવું રૂપ 70 ટકાથી વધુ ઝડપથી ફેલાય છે
વાઈરસમાં સતત મ્યૂટેશન થતું રહે છે, એટલે કે એના ગુણ બદલાતા રહે છે. મ્યૂટેશન થવાથી વેરિયન્ટ પોતે જ સમાપ્ત થઈ જાય છે. જોકે ક્યારેક ક્યારેક પહેલાં કરતાં વધુ મજબૂત અને ખતરનાક થઈ જાય છે. આ પ્રોસેસ એટલી ઝડપથી થાય છે કે વૈજ્ઞાનિક એક રૂપને સમજ્યા પણ ન હોય ત્યાં બીજું નવું રૂપ પ્રકાશમાં આવે છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે કોરોન વાઈરસનું જે નવું રૂપ બ્રિટનમાં મળ્યું છે એ પહેલાં કરતાં 70 ટકાથી વધુ ગતિથી ફેલાઈ શકે છે.
કોરોના વાઈરસમાં અત્યારસુધીમાં કઈ રીતે ફેરફાર જોવા મળ્યો
કોરોના વાઈરસમાં ઘણા પ્રકારના ફેરફાર થયા છે. એમાંથી કેટલાક નીચે મુજબ છેઃ
N501Y: બ્રિટનમાં આ નવો સ્ટ્રેન છે. એમાં અમીનો અસિડને N લખવામાં આવે છે. એ કોરોના વાઈરસના જેનેટિક સ્ટ્રક્ચરમાં પોઝિશન-501 પર હતો. એને હવે Yએ રિપ્લેસ કર્યો છે.
P681H: નાઈજીરિયામાં મળેલા આ કોરોના વાઈરસ સ્ટ્રેનમાં પોઝિશન-681 પર અમીનો અસિડ Pને Hએ રિપ્લેસ કર્યો છે. અમેરિકાના CDCના જણાવ્યા મુજબ, આ પોઝિશનમાં ફેરફાર ઘણી વખત થઈ ચૂક્યો છે.
HV 69/70: આ સ્ટ્રેન કોરોના વાઈરસમાં પોઝિશન-69 અને 70 પર અમીનો એસિડ ડિલિટ થવાનું પરિણામ છે. ફ્રાન્સ અને દક્ષિણ આફ્રિકામાં પણ વાઈરસમાં આ ફેરફાર જોવા મળ્યો છે.
N439K: બ્રિટનમાં કોવિડ-19 જેનોમિક્સ કન્સોર્ટિયમ(CoG-UK)ના રિસર્ચે આ નવા વેરિયન્ટ અંગે જણાવ્યું હતું. એમાં પોઝિશન-439 પર સ્થિત અમીનો એસિડ Nને Kએ રિપ્લેસ કર્યું છે.
દેશમાં 1.02 કરોડ કેસ આવી ચૂક્યા, 98 લાખ સાજા થયા
દેશમાં સોમવારે માત્ર 16 હજાર 72 કેસ આવ્યા છે. આ આંકડો 23 જૂન પછી સૌથી ઓછો છે. અત્યારસુધીમાં 15 હજાર 656 કેસ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 822 દર્દી સાજા થઈ ચૂક્યા છે. 250 દર્દીઓનાં મોત થયાં છે. આ રીતે એક્ટિવ કેસમાં 9011નો ઘટાડો નોંધાયો છે. હવે માત્ર 2.67 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે. અત્યારસુધીમાં કુલ 1.02 કરોડ કોરોના સંક્રમિત મળ્યા છે. તેમાંથી 98.06 લાખ દર્દીઓ સાજા થયા છે. 1.48 લાખ દર્દીનાં મોત થયાં છે.