- ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ – ગ્રામ્ય વિરોધી નીતિના લીધે ભાજપના પૂર્વ ધારાસભ્ય કોળી પટેલ આગેવાન શ્રી લાલજીભાઈ મેરે રાજીનામું આપીને સેંકડો કાર્યકરો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા
- ખેડૂતને તેમની જમીનના હક્ક મળે તે માટે રજૂઆત કરવા છતાં ભાજપ સરકારમાં ખેડૂતોને ન્યાય ન મળ્યો, ગરીબ અને ખેડૂત ભાઈઓની સતત અવગણના થવાના કારણે ભાજપના સભ્યપદેથી રાજીનામું આપું છું : લાલજીભાઈ મેર
ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ – ગ્રામ્ય વિરોધી નીતિના લીધે ભાજપના પૂર્વ ધારાસભ્ય કોળી પટેલ આગેવાન શ્રી લાલજીભાઈ મેરે રાજીનામું આપીને સેંકડો કાર્યકરો સાથે આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના સંગઠન પ્રભારી-સાંસદશ્રી રાજીવ સાતવજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, એ.આઈ.સી.સી.ના મંત્રી અને સહ પ્રભારીશ્રી બિશ્વરંજન મોહંતીજી, એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી હિમાંશુ વ્યાસ, કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનશ્રી નવીનચંદ્ર રવાણી, કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખ અને ધારાસભ્યશ્રી સોમાભાઈ પટેલ, શ્રી ઋત્વિકભાઈ મકવાણા, શ્રી રાજેશભાઈ ગોહિલ, શ્રી અશ્વિનભાઈ કોટવાલ, મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશી સહિતના હસ્તે કોંગ્રેસ પક્ષનો ત્રિરંગો ખેસ પહેરીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે.
ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોળી પટેલ આગેવાનશ્રી લાલજીભાઈ મેરને કોંગ્રેસ પક્ષમાં આવકારતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ સમાજ ના લોકોની લાગણી છે કે ભાજપે વિશ્વાસ ઘાત કર્યો છે. ભાજપ ગરીબ અને ખેડૂત વિરોધી છે, ઉદ્યોગપતિઓ માટે ભાજપ કામ કરી રહ્યું છે. ખેડૂતોને ખેત પેદાશોના ભાવ મળતા નથી. સિંચાઈનું પાણી મળતું નથી, વીજળી, બિયારણ, ખાતર સહિત ખેતી માટે જરૂરી તમામમાં મોટા પાયે ભાજપ શાસનમાં ભાવ વધારો થયો છે. ખેડૂતોને સતત અન્યાય થાય છે. પક્ષમાં તમામ લોકોનું માન સન્માન જળવાશે, લાલજીભાઈ મેર એ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો સાથે ભાજપ ના અન્ય આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા છે તેમનું પક્ષમાં સ્વાગત છે.
ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોળી પટેલ આગેવાનશ્રી લાલજીભાઈ મેરને કોંગ્રેસ પક્ષમાં આવકારતાં એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના સંગઠન પ્રભારી-સાંસદશ્રી રાજીવ સાતવજીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં સાંસદો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, રાજસ્થાન માં ભાજપ ના સાંસદ કોંગ્રેસમાં જોડાયા હતા, તેલંગાના માં ટીઆરએસ ના સાંસદ પણ કોંગ્રેસમાં જોડાયા, ગુજરાતમાં પણ ભાજપ ના પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ મંત્રીશ્રીઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. જસદણ ની ચૂંટણી આપણે જીતીશું જ. જસદણના નાગરીકોએ કોંગ્રેસ પક્ષને હંમેશા આશીર્વાદ આપ્યા છે. જસદણની ચૂંટણી જીતવાથી લોકસભાની ચૂંટણી માં મોટું પરિવર્તન આવશે. લાલજીભાઈ મેર ઓબીસી નેતા છે, તેઓ કોંગ્રેસને વધુ મજબૂતી આપશે.
ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોળી પટેલ આગેવાનશ્રી લાલજીભાઈ મેરને કોંગ્રેસ પક્ષમાં આવકારતાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગરીબ અને ખેડૂતોની આત્મહત્યા વધી રહી છે, લાલજીભાઈ મેર ના આવવાથી બળ મળશે, જે રીતે કોંગ્રેસ પક્ષમાં લોકો જોડાઈ રહ્યા છે તે વિભાજનકારી લોકો માટે લપડાક છે. વિકાસની વાતો કરનારા રામમંદિર પર વળ્યાં કારણકે વિકાસ થયો નથી. ભાજપ સરકારમાં ખેડૂતોને, યુવાનોને સતત અન્યાય થઇ રહ્યો છે.
ભાજપમાંથી છેડો ફાડીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર-આગેવાનોને સંબોધન કરતા શ્રી લાલજીભાઈ મેરે જણાવ્યું હતું કે, ખેડૂતો, ગરીબો, ખેત મજદૂરોને ભાજપ સરકારમાં ન્યાય મળતો નથી. વારંવાર રજૂઆત કરવા છતાં ભાજપ સરકાર સતત અન્યાય કરી રહી છે. ત્યારે ખેડૂતો અને ગરીબોની લડત માટે ભાજપમાંથી રાજીનામું આપ્યુ છે. ગરીબ ખેડૂતનો પુત્ર છું. ધોલેરા આસપાસ વિસ્તારના હજારો ખેડૂતોને ભાજપ સરકાર અન્યાય કરી રહી છે. ગરીબ ખેડૂતો ના કામ ભાજપ સરકાર થવા દેતી નથી. લાખો ખેડૂતો અને કાર્યકરો મારી સાથે છે. કામ ન થાય તો પાર્ટીમાં રહેવાની શું જરૂર છે. કાર્યકર અને આગેવાનોની લાગણી અને માંગણીને ધ્યાને લઈને કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. જસદણ ની ચૂંટણી છે ત્યારે નિષ્ઠા થી કામ કરીશું. ખેડૂતોની વાત ભાજપ સરકારમાં કોઈ સાંભળતું નથી તેથી ખેડૂતોના હિતની લડાઈ માટે કોંગ્રેસ પક્ષમાં જોડાયો છું.