ભારતીય સિનેમા જગતમાં જે થવા જઇ રહ્યું છે તે ફક્ત રજનીકાંત જ કરી શકે છે, કારણ કે રજનીકાંત એ સુપરસ્ટાર છે, જેમનું નામ જ પર્યાપ્ત છે. વાત જાણે એમ છે કે થલાઇવા હૈદરાબાદમાં જે ફિલ્મના શૂટિંગ દરમિયાન બીમાર પડ્યા હતા હવે તે ફિલ્મના સેટને ચેન્નઇમાં લઇ જવામાં આવશે, જેથી રજનીકાંત ફરી શૂટિંગ કરી શકે છે. થોડા દિવસો પહેલાં ફિલ્મના શૂટિંગ દરમિયાન રજનીકાંતની તબિયત લથડતાં તેમને ખાનગી હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.
જોકે, હવે તબિયતમાં સુધારો હોવાથી તેમને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે, પણ વધુ પડતો સ્ટ્રેસ લેવાની અને શૂટિંંગ ન કરવાની સલાહ ડૉક્ટરે આપી છે. જોકે, રજનીકાંતે આ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કરવાની ઇચ્છા જાહેર કરતાં તેમની માટે આખેઆખો ફિલ્મનો સેટ જ એક શહેરમાંથી બીજા શહેરમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સની વાત માનીએ તો રજનીકાંતને તેની ફિલ્મના નિર્માતાઓના અટકેલા પૈસાની ચિંતા સતાવી રહી હતી, તેથી તેમણે વહેલી તકે ફરી શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
ડૉક્ટર્સે રજનીકાંતને બેડ રેસ્ટની સલાહ આપી છે. કોરોનાનો ચેપ લાગવાના જોખમ વચ્ચે તેમને ખાસ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. એવામાં રજનીકાંત ફિલ્મનું શૂટિંગ કરી શકે તે માટે ફિલ્મના સેટને હૈદરાબાદથી ચેન્નઇ લઇ જવાનો નિર્ણય ફિલ્મના નિર્માતાઓએ લીધો છે.