મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે કોરોનાની મહામારીના ઉપલક્ષમાં લાગુ કરેલા લૉકડાઉનને ૨૮મી ફેબ્રુઆરી સુધી લંબાવ્યું હોવાનો સરકારી આદેશ જાહેર કર્યો હતો. જોકે, મિશન બિગીન અંતર્ગત આપવામાં આવેલી છૂટછાટ યથાવત્ રહેશે, તેમ પણ જણાવ્યું હતું. સરકારના આદેશમાં જણાવ્યું હતું કે કોરોના વાઈરસનું જોખમ હજુ ટળ્યું નથી, આથી લૉકડાઉનના નિયમો યથાવત્ રાખવાની ફરજ રાજ્ય સરકારને પડી છે. નવા મિશન બિગીન અગેઈન નિયમો અનુસાર સરકારે દુકાનોને રાત્રે દસની બદલે અગિયાર વાગ્યા સુધી અને રેસ્ટોરાંને રાત્રે એક વાગ્યા સુધી ચાલુ રાખવાની પરવાનગી આપી છે. મુંબઈમાં મોડી રાત સુધી રેસ્ટોરાં ખુલ્લા રહે તે સારા સમાચાર છે, કારણ કે અહીંની જીવનશૈલી અનુસાર લોકો મોડી રાત્રે બહાર જમવાનું પસંદ કરતા હોય છે. જોકે દુકાનોને એક કલાક વધારે ખૂલી રહેવાની પરવાનગી મળવાથી ખાસ ફાયદો નહીં થાય. ઉપનગરોની દુકાનો અથવા મોલ્સની દુકાનોને થોડો ફાયદો થઈ શકે છે, તેમ ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ એસોસિયેશનના અધ્યક્ષ વિરેન શાહે જણાવ્યું હતું. સરકારે હજુ ૩૦ ટકા સ્ટાફની છૂટ આપી છે. મુંબઈમાં જૂન મહિનાથી ધીમે ધીમે આર્થિક પ્રવૃત્તિઓને છૂટ આપવામાં આવી હતી. હાલમાં લગભગ તમામ ક્ષેત્રો-એકમોમાં કામકાજ ચાલુ કરવાની છૂટ છે. જોકે જનતા સખતપણે કોરોનાના નિયમોનું પાલન કરે તેવી તાકીદ સરકારે કરી હતી. મુંબઈમાં લોકલ ટ્રેનને પણ મંજૂરી મળતા હવે ગાડી ફરી પાટે ચડે તેમ જણાઈ રહ્યું છે. આ નિર્ણયને લીધે આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે અને મુંબઈગરાઓને મોટી રાહત મળશે.