એજન્સી-નવી દિલ્હી
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને છેલ્લા કેટલાક દિવસોથી ઘણા સંગઠનો આમને-સામને છે. આટલું જ નહીં, ઘણા પક્ષો રામ મંદિર નિર્માણના પક્ષમાં છે, તો કેટલાક વિરોધ પક્ષમાં. તાજેતરમાં આરએસએસના વરિષ્ઠ નેતા દત્તાત્રેય હોસબાલેએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જ્યારે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ બની શકે છે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે કાયદો કેમ ન બની શકે.
ત્યારે હવે રાજનાથ સિંહે તેમને જવાબ આપ્યો છે અને જણાવ્યું છે કે પટેલજીની મૂર્તિ ખૂબ જ શાનદાર બની છે, આ સારી વાત છે. જો તેમની ઇચ્છા છે કે ભવ્ય રામમંદિર બનવું જોઈએ તો તેમાં કંઇ જ ખોટું નથી. આ ઘણા લોકોની ઇચ્છા છે. હું સમજું છું કે આ નિવેદન પર કોઈને આપત્તિ ન હોવી જોઇએ.
ગૃહમંત્રીએ આગળ જણાવ્યું કે, રામલલાનો વનવાસ હવે ટૂંક સમયમાં સમાપ્ત થશે, મંદિર ટૂંક સમયમાં બનશે અને શાંતિ તેમજ સૌહર્દ્રથી બનશે. રાજનાથ સિંહે આ નિવેદન રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે હું ખાતરી આપુ છું કે રામલલાનો વનવાસ ટૂંક સમયમાં સમાપ્ત થશે. આ મારો વિશ્વાસ છે. વટહુકમ અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર ગૃહપ્રધાને જણાવ્યું કે મારે જે કહેવું હતું તે તમને જણાવી દીધું છે. મંદિર બનશે તો ભવ્ય બનશે.