એજન્સી-નવી દિલ્હી
તમામ અટકળો વચ્ચે રિઝર્વ બેન્કે બુધવારે પોતાના મોનિટરી પોલિસી સમીક્ષામાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. કેન્દ્રિય બેન્કે રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. રીવર્સ રેપો રેટ 6.25 ટકા પર છે. આરબીઆઇના આ નિર્ણયથી તે લોકોને ઝટકો લાગ્યો છે જે ઇએમઆઈ પર કાપની આશા રાખે છે.
જોકે લિક્વિડિટી આઉટફ્લો વધારવા માટે રિઝર્વ બેન્કે SLRમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. એસએલઆર (સ્ટેચ્યુરી લિક્વિડિટી રેશિયો) હેઠળ બેન્કને ફિક્સડ રકમ આરબીઆઇ પાસે રાખવાની હોય છે. બીજી તરફ કેશ રિઝર્વ રેશિયો (CRR)માં કેન્દ્રિય બેન્કે કોઈ ફેરફાર કર્યો નથી. ઉપરાંત રિઝર્વ બેન્ક દ્વારા નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ છ મહિના માટે જીડીપી ગ્રોથ રેટનુ અનુમાન 7.4 ટકા દર્શાવ્યું છે. ઑક્ટોબરમાં થયેલી ગત સમીક્ષા બેઠકમાં પણ રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહતો કર્યો.
જૂન મહિનાથી કેન્દ્રીય બેન્કે નીતિગત દરમાં સતત બે વખત વધારો કર્યો છે. તેના પછી ઓક્ટોબરમાં બજારોની અપેક્ષા વિરુદ્ધ કેન્દ્રીય બેન્કે વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. રૂપિયામાં ઘટાડો અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવના કારણે ફૂગાવાનો દર વધશે તેવી ચિંતા વચ્ચે આશા રાખવામાં આવતી હતી કે કેન્દ્રીય બેન્ક વ્યાજદરમાં વધારો કરશે.