વિવાદ કંગના માટે પ્રાણવાયુની ગરજ સારતા લાગે છે. નુકેતેચીની કરવા માટે એને કોઈ પણ વિષય કે વ્યક્તિનો બાધ નથી. હમણાં ‘મણિકર્ણિકા’ના બે વર્ષ પૂરાં થયાં, તો બહેને ફરી ફટકાબાજી કરી, ‘એ છે ને જે ફિલ્મે મારા હાડકાં તોડ્યા, એણે ઘણાં રેકોર્ડસ પણ તોડ્યા હો!’
‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ની રિલિઝના બે વર્ષની પૂર્ણા- પૂર્ણાહુતિ નિમિત્તે ટ્વિટર પર કંગનાએ રાજીપો વ્યક્ત કર્યો. તેણે માહિતી આપી, ‘જે રીતે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન મારા હાડકાં તૂટ્યા, ૨૦ ટાંકા આવ્યા અનેે બે ફેકચર આવ્યા એ રીતે ફિલ્મે ઘણાં વિક્રમ પણ તોડયા.
આ ફિલ્મ એક દિવસની કમાણી, વીક ઍન્ડની કમાણી અને મહિલા લક્ષ્ી ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરવામાં ત્રીજા નંબરે છે.જાપાનમાં એ ભારતની સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ.’રાણી લક્ષ્મીબાઈ અગાઉ ‘ભવની ભવાઈ’, ‘મિર્ચ મસાલા’ અને ‘સરદાર’વાળા કેતન મહેતા બનાવવાના હતા અને કંગના જ હીરોઈન બનવાની હતી.
મહારાષ્ટ્ર સરકાર સાથેનો ઘર્ષણ શાંત પડે એ અગાઉ કંગનાએ નવી ફિલ્મ ‘મણિકર્ણિકા રિટર્ન્સ: ધ લેજેન્ડ ઑફ દિદ્દા’ જાહેર કરી. દિદ્દા કાશ્મીરની એવી શક્તિશાળી રાણી હતી કે જેણે મોહમ્મદ ગજનવીને બબ્બેવાર લડાઈમાં ધૂળ ચાટતો કર્યો હતો. અવિભાજિત કાશ્મીરની આ રાણીને મોગલોને સૌથી મોટો બોધપાઠ આપનારી વ્યક્તિ તરીકે યાદ કરાય છે. કહેવાય છે કે દિદ્દા એ પગથી અપંગ હતા, દૃષ્ટિહીન હતા છતાં સોમનાથ મંદિરના લૂંટારા ગજનવીને બબ્બેવાર હા ભૂ પાયું હતું. લાહોર રાજવંશમાં જન્મ પણ દિવ્યાંગ હોવાથી મા-બાપે બાળપણમાં દિદ્દાને ત્યજી દીધી. નસીબે મોટું વળતર આપ્યું ને કાશ્મીરના રાજા ક્ષેમગુુપ્તે એમની સાથે વિવાહ કર્યા, પણ પાછું નિયતિએ પડખું ફેરવ્યું.