સફલ- ૨ ના વેપારીઓ દ્વારા ૭૨ માં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરાઈ

વેપારીઓએ સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિતની માર્ગદર્શિકા નું પાલન કરી રાષ્ટ્રગાન કર્યું કોરોના મહામારી અને મંદી ના મારમાંથી માર્કેટ બહાર આવી રહ્યું હોઈ વિકાસ અને તેજીની વેપારીઓને આશા

0
429
વેપારીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી
વેપારીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

અમદાવાદ, તા.૨૭

કોરોનાની મહામારી વચ્ચે પણ અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ૭૨માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના કાંકરિયા વિસ્તારમાં સફલ-2 ના વેપારી મંડળ દ્વારા ૭૨માં પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ૧૦૦ થી વધુ વેપારીઓએ મોઢા પર માસ્ક અને સેનીટાઇઝેશન સાથે કોરોનાથી જાગૃતિ રાખવા સાથે અને તેનાથી બચવાના સંદેશા સાથે ધ્વવંદન, રાષ્ટ્રગાન અને વીર શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
સફલ -૨ ના વેપારી મંડલના આગેવાનો રમેશભાઈ ગીડવાણી, પ્રિયંક ગીડવાણી, અંશુલ સોમાણી, પ્રજ્ઞેશ શાહ, જયંતિ જાદવાણી સહિતના સંખ્યાબંધ વેપારીઓ ૭૨ મા પ્રજાસત્તાક પર્વના ધ્વજવંદન, રાષ્ટ્રગાનના કાર્યક્રમમાં ઉમટ્યા હતા. વેપારીઓએ ધ્વજવંદન કરી, રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કરી પુલવામા, ગલવાન ખાડી સહિતના દેશના વીર શહીદોને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને વીર શહીદો તુમ અમર રહો, જય હિંદ, વંદે માતરમ્ સહિતના દેશ ભક્તિના નારા લગાવી વાતાવરણ ગજવી મુક્યું હતું ત્યારે સમગ્ર વિસ્તારમાં રાષ્ટ્રભકતીનો માહોલ છવાયો હતો. વેપારીઓ દ્વારા દેશભક્તિના ગીતો વગાડી તેમની શહાદત અને બલિદાનને યાદ કરી તેમને ગૌરવભરી સલામી અને નમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સફલ-૨ વેપારી એસોસિએશનના અગ્રણીઓ રમેશભાઈ ગીડવાણી અને પ્રિયંક ગીડવાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર અને રાજ્ય સરકારના કોરોના મહામારી નાથવાના લેવાયેલા પગલાઓને કારણે આજે કોરોના મહામારી ની પરિસ્થિતિ મહદ અંશે કાબુમાં આવી શકી છે ત્યારે હવે માર્કેટમાં પણ તેજી અને વિકાસની આશા બળવત્તર બની છે. કોરોના વાયરસ ની વેક્સિન ની ભારતમાં શોધ બાદ હવે વધુ એક આશા લોકોમાં જાગી છે ખાસ કરીને મોદી સરકારની કોરોનાવાયરસ ને લઈને લેવાયેલી ઐતિહાસિક પહેલને પગલે હવે કોરોના પર ટુંક સમયમાં જ કાબૂ મેળવી લેવાય એમ લાગી રહ્યું છે. ઉપરાંત વિશ્વના ૯૫થી વધુ દેશોએ કોરોના વેક્સિનને મંગાવીને ભારતના નિર્ણય અને પહેલ પર જે વિશ્વાસ મૂકયો છે તે માત્ર ભારત જ નહીં પરંતુ દેશના દરેક દેશવાસી માટે ગૌરવપુર્ણ બાબત કહી શકાય વેપારીઓએ પણ આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સની કામગીરીને બીરદાવી તેમને સો સો સલામી અર્પણ કરી છે. સાથે સાથે દેશની સુરક્ષા કાજે બોર્ડર પર રાત દિવસ કપરી પરિસ્થિતિમાં પણ સતત તૈનાત અને પોતાની જાનની બાજી લગાવી દેશવાસીઓની સુરક્ષા કરતા સેનાના જવાનોને પણ યાદ કરી તેમને પણ ગૌરવપૂર્ણ સલામી અર્પણ કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here