મુંબઈ: કોરોના વાઈરસને કારણે સરકારે ‘લોકડાઉન’ જાહેર કર્યા પછી સામાન્ય જનતા માટે હજુ પણ લોકલ ટ્રેનમાં અવરજવર કરવાનું મુશ્કેલ બન્યું છે ત્યારે અત્યંત આવશ્યક સેવા સહિત સરકારી કર્મચારી માટે ચાલુ કરવામાં આવેલી લોકલ ટ્રેનમાં અવરજવર કરવા માટે સ્ટેશનના પરિસરમાં પર્યાપ્ત સુવિધા નહીં હોવાનો પ્રવાસી સંગઠને દાવો કર્યો હતો. અનલોક પોલિસી અંતર્ગત સરકારે લોકલ ટ્રેન જૂન મહિનાથી સરકારી સહિત અત્યંત આવશ્યક સેવાના કર્મચારી માટે ચાલુ કર્યા પછી સ્ટેશનના પરિસરમાં એન્ટ્રી-એક્ઝિટ માટે સિંગલ બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે, તેનાથી એક જ બ્રિજ પર સૌથી વધારે ભીડ થતી હોવાથી સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પણ પાલન થતું નથી. એટલું જ નહીં, હજુ પણ સ્ટેશનના પરિસરમાં લિફ્ટ અને ઍસ્કેલેટર પણ ચલાવાતા નથી, તેનાથી પ્રવાસીઓને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે. મધ્ય રેલવેમાં દાદર, કુર્લા, ઘાટકોપર સહિત ડોંબિવલી વગેરે રેલવે સ્ટેશન ખાતે સિંગલ બ્રીજ ખૂલ્લા મૂકવામાં આવ્યો હોવાથી દરેક સ્ટેશનના બ્રિજ પર સૌથી વધારે પ્રવાસીઓની ભીડ થાય છે, તેથી એક-બે લોકલ ટ્રેનના પ્રવાસી એકસાથે થવાથી ક્યારેક મોટી હોનારતનું પણ નિર્માણ થઈ શકે છે, તેથી હવે પ્રવાસીઓની સંખ્યા વધી હોવાથી એટ લિસ્ટ મૂળભૂત સુવિધા ચાલુ કરવી જોઈએ. સ્ટેશનના પરિસરમાંથી રોજના લાખો પ્રવાસીઓની અવરજવર ચાલુ થઈ હોવાથી તેમાં દિવ્યાંગ, મહિલા સહિત સિનિયર સિટીઝન પ્રવાસીનો પણ સમાવેશ થયો છે. અત્યારે મુંબઈમાં ૯૦ ટકા લોકલ ટ્રેન ચાલુ થઈ છે, જેમાં રોજના ૧૭થી ૨૦ લાખ પ્રવાસી ટ્રાવેલ કરે છે. આ ઉપરાંત, ટર્મિનસ સ્ટેશન જેમ કે મુંબઈ છત્રપતિ શિવાજી ટર્મિનસ, એલટીટી, થાણે, કલ્યાણ હોય કે પછી મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા, બોરીવલીથી લાંબા અંતરની મેલ-એક્સ્પ્રેસ ટ્રેનમાં ટ્રાવેલ કરનારાની સંખ્યા પહેલા કરતા બેવડી થઈ ગઈ છે, તેથી મૂળભૂત સુુવિધા પૈકી સ્ટેશનના પરિસરમાં સ્ટોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઍસ્કેલેટર અને લિફ્ટ ચાલુ કરવી જોઈએ, એમ મુંબઈ પ્રવાસી સંઘના સૂત્રોએ જણાવ્યું હતું.