યોગ અને ધ્યાનનાં માધ્યમથી યુવા મનની સ્ફૂર્તિ, ઉર્જા, તાજગી અને ઉત્સાહ જાળવી શકાય છે: કર્ણાવતી યુનિવર્સીટીનો ઉદાહરણરૂપ પ્રયાસ: પ્રતિ સપ્તાહ યોજાય છે આર્ટ ઓફ લિવિંગ શિબિર
કર્ણાવતી યુનિવર્સીટીનાં પદવીદાન સમારંભમાં શ્રી શ્રી રવિશંકરજીને માનદ પીએચડી થી સન્માનિત કરવામાં આવશે.
અમદાવાદમાં આવેલી કર્ણાવતી યુનિવર્સીટી દ્વારા યુવા મન ની હળવાશ, નિર્દોષતા અને સહજતાને જાળવી રાખવા માટે પ્રશંસનીય પ્રોગ્રામ શરુ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત દર અઠવાડિયે યુનિવર્સીટી કેમ્પસમાં આર્ટ ઓફ લિવિંગ શિબિર વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવે છે. અત્યાર સુધીમાં ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ શિબિર થી લાભાન્વિત થયા છે.
વર્તમાન યુવા માનસ અનિયંત્રિત સંવેદનાઓ, તથા ભાવનાત્મક, સામાજિક અને અભ્યાસકીય દબાવથી ગ્રસ્ત છે. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી અનુસાર : ઉગ્રતા અને નિરાશા: આ બંનેમાંથી કોઈ એક અવસ્થા દરમ્યાન વ્યક્તિ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરે છે. વ્યસન, આત્મઘાત, હિંસા, જેવી નકારાત્મક, દુઃખપ્રદ ઘટનાઓનું નિવારણ, મનનું કુશળતાપૂર્વક સંચાલન કરવાથી શક્ય બને છે. યોગ અને ધ્યાનના માધ્યમ દ્વારા મનની નકારાત્મક અવસ્થાઓને નિયંત્રિત કરીને એક સુંદર અને સરળ જીવન પ્રાપ્ત કરી શકાય છે. મન શાંત અને વિશ્રાંત બને છે. બુદ્ધિ તીક્ષ્ણ બને છે. સર્જનશીલતા ખીલે છે.
શ્રી શ્રી રવિશંકરજી હાલમાં ગુજરાત પ્રવાસે છે. તા. ૪ ડીસેમ્બરનાં રોજ કર્ણાવતી યુનિવર્સીટી દ્વારા પદવીદાન સમારંભ યોજાનાર છે. જેમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે. યુનિવર્સીટી દ્વારા શ્રી શ્રીને વિશ્વશાંતિ, સમાજ નિર્માણ અને વ્યક્તિ વિકાસ ક્ષેત્રે તેમનાં અમૂલ્ય યોગદાન પ્રત્યે આભાર વ્યક્ત કરવા માનદ પીએચડી ડીગ્રી એનાયત કરવામાં આવનાર છે. આર્ટ ઓફ લિવિંગ શિબિર વડે અત્રે વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ અને અભ્યાસમાં એકાગ્રતા મેળવેલ છે. પરીક્ષા સમયનો તણાવ દૂર થયો છે. અને જેનાથી વિદ્યાર્થીઓનાં પરિણામમાં પણ સુધારો થયો છે. આ શિબિર અહી પ્રતિ સપ્તાહ યોજાય છે. પ્રાણાયામ અને ધ્યાનના માધ્યમથી યુનિવર્સીટી કેમ્પસ વ્યસન મુક્ત બની રહ્યો છે.