સુરત : ઉમરપાડા તાલુકાના શરદા ગામે વાવાઝોડા દરમિયાન ખેતરમાં તૂટી પડેલા જીવંત વીજ વાયર પર છ વર્ષની બાળકીનો પગ પડતાં વીજ કરંટ લાગવાથી બાળકીનું સ્થળ ઉપર મોત નિપજયું હતું. શરદા ગામના ખેડૂત દિલીપભાઈ વસાવા પોતાના ખેતરમાં જ ઘર બનાવીને વસવાટ કરે છે. બપોરે ફુંકાયેલા વાવાઝોડા દરમિયાન શરદા ગામની સીમમાં વીજ લાઈન ઉપર તોતિંગ વૃક્ષ પડતા વીજ વાયરો નીચે પડી ગયા હતા. જીવંત વીજ વાયરમાં વીજ પ્રવાહ ચાલુ હતો.આ સમયે ખેતરમાં જ ઘર બનાવીને રહેતા ખેડૂત પરિવારની દીકરી કિંજલબેન દિલીપભાઈ વસાવા ઉંમર વર્ષ 6 રમતી રમતી ખેતરમાં પહોંચી હતી. ત્યારે 6 વર્ષીય કિંજલનો પગ ભૂલમાં જીવંત વીજતાર પર પડી જતાં કરંટ લાગવાથી કિંજલનું મોત નિપજયું હતું. આ ઘટનાની જાણ તેના માતાપિતા અને પરિવારજનો ને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનો પણ દોડી આવ્યા હતા. ઘટના અંગે ઉમરપાડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.