નવી દિલ્હી: તૃણમૂલ કૉંગ્રેસની ફરિયાદ પર ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની તસવીર હટાવવાનો આદેશ કર્યો છે. ટીએમસીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્ર પર મોદીની તસવીરની હાજરી એ આદર્શ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે. આના પર ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને આદેશ કર્યો છે કે ચૂંટણીના નિયમોનું અક્ષરશ: પાલન કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલવામાં આવેલા એક પત્રમાં ચૂંટણી પંચે આચાર સંહિતાની અમુક જોગવાઈનો ઉલ્લેખ કર્યો છે, જે સરકારી ખર્ચ અને જાહેરાત પર પ્રતિબંધ લગાવે છે. ઉલ્લેખનીય છે કે હાલ પશ્ચિમ બંગાળ, આસામ, તાલિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં આદર્શ આચાર સંહિતા લાગૂ છે. ચૂંટણી પંચ અને આરોગ્ય મંત્રાલય વચ્ચે થયેલી વાતચીતના જાણકાર સૂત્રોનું કહેવું છે કે, ચૂંટણી પંચે કોઈ વ્યક્તિ કે શખ્સનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયને એવો આદેશ કર્યો છે કે તે ચૂંટણીની આચાર સંહિતાનું અક્ષરશ: પાલન કરે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્વાસ્થ્ય મંત્રાલયે હવે સંભવત: ફિલ્ટરનો ઉપયોગ કરવો પડશે. જેનાથી પશ્ચિમ બંગાળ, આસામ, તાલિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરી (અહીં ચૂંટણી યોજનાર છે)માં કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રમાં વડાપ્રધાન મોદીની તસવીર ન છપાય. સિસ્ટમમાં આ ફિલ્ટર મૂકવા માટે થોડો સમય પણ લાગી શકે છે.