ગુરુવારે ફરી શરૂ થયેલા રસીકરણમાં 45 વર્ષથી ઉપરના માત્ર 1067 લોકોએ પહેલો ડોઝ લીધો હતો. જ્યારે 82 દિવસના નિયમને પગલે માત્ર 16 લોકોએ બીજો ડોઝ લઈ શક્યા હતા. જ્યારે 18 થી 44 માં 7414 લોકોએ પહેલો ડોઝ દીધો હતો. છ દિવસ બાદ ફરી શરૂ થયેલા રસીકરણ માટે 18 થી 45 વય જૂથ માટેના સ્લોટમાં વધારો કરવામાં આવ્યો છે. ગુરુવારે 140 થી વધારી 170નો સ્લોટ કરાયો હતોે.શુક્રવારથી હવે 150નો સ્લોટ રહેશે. ગુરુવારથી લાંબા વિરામ બાદ ફરી શરૂ થયેલા 45 વર્ષ ઉપરના નાગરિકો માટેના રસીકરણ ને પગલે વહેલી સવારથી જ રસીકરણ કેન્દ્ર ઉપર લાઈન લાગી હતીજોકે બીજા ડોઝ માટેનો સમય 82 દિવસ કરવામાં આવતા આ માટે આવેલા કેટલાય લોકોને પરત મોકલવામાં આવ્યા છે. જ્યારે અર્બન હેલ્થ સેન્ટરના સૂત્રો મુજબ રસીકરણ 45 ઉપર ના વય જૂથમાં ઓછું થઇ રહ્યું છે. કોર્પોરેશનના આરોગ્ય અમલદાર દેવેશ પટેલે જણાવ્યું હતું કે, રસીકરણ ઓછું થયું હશે તો સંખ્યા વધારવામાં આવશે. 45થી વધુ વયના લોકોને રસીનો પહેલો ડોઝ લેવા માટે સમજાવવામાં આવશે. શુક્રવારથી બંને વય જૂથ પૈકી 18થી વધુ વયના લોકો માટે 150નો સ્લોટ રહેશે. જયારે સેન્ટરની સંખ્યા 50 રહેશે
નવી ગાઇડલાઇન મુજબ 82 દિવસે બીજો ડોઝ લેવાનો છે જેને પગલે અગાઉ શહેરમાં પહેલો ડોઝ લઈ ચૂકેલા નાગરિકોને પણ માત્ર 60 દિવસ થયા છે. જેને પગલે બીજા ડોઝ માટે હજુ અંદાજે એક મહિના જેટલો સમય લાગશે. બીજો ડોઝ 82 દિવસ પછી લેવાની નવી ગાઇડલાઇન અંગે અજાણ કેટલાક ઉંમરલાયક લોકો સયાજી હોસ્પિટલના રસીકરણ કેન્દ્ર ખાતે સવારે દોડી આવ્યા હતા જેમને નવા નિયમ અંગે ખબર નહીં હોવાથી હોબાળો મચ્યો હતો.