નવી દિલ્હી: અનેક રાજ્યોમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને લગ્ન સીઝનની વચ્ચે કોરોના સંક્રમણ ના કેસોમાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત થોડા સમય સુધી એક દિવસમાં મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 100થી નીચે પહોંચી હતી તેમાં પણ વધારો નોંધાયો છે. આ દરમિયાન 94 લાખથી વધુ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.નોંધનીય છે કે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 94,22,228 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,881 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 101 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,09,50,201 થઈ ગઈ છે.ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 278 કેસ નોંધાયા છે. જેની સામે 273 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4403 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.70 ટકા છે. રાજયમાં આજે 3718 વ્યક્તિઓને કોરોનાની રસીઆપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 8,05,630 વ્યક્તિઓનું રસીકરણ થયું છે